કરોડો રૂપિયાના કૌભાંડમાં બે સબ પોસ્ટ માસ્ટરની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બે સબ પોસ્ટ માસ્ટરની ધરપકડ કરી હતી. અગાઉ પકડાયેલા આરોપીઓ સાથે મળીને આ બંને આરોપીઓ રોકાણકારોની બચતના રૂપિયા બારોબાર ચાઉં કરવામાં મદદ કરતા હતા.
અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા શાી નગર પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા બે સબ પોસ્ટ માસ્ટર ઉદય કુમાર દેસાઈ અને ધીરેન્દ્ર આત્મારામ નામના બે સબ પોસ્ટ માસ્તરની ધરપકડ કરી છે. આ બન્ને આરોપીઓ અગાઉ આ ગુનામાં પકડાયેલા મુખ્ય આરોપી તેજસ શાહ અને અન્ય આરોપીઓને રોકાણકારોના રૂપિયા બારોબાર ચાઉં કરવામાં મદદ કરતા હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા બંને આરોપીઓ જે તે સમયે શાી નગર પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા હોવાથી આરોપી તેજસ શાહના સંપર્કમાં આવ્યા હતા. સમગ્ર કૌભાંડમાં આર્થિક ગુના નિવારણ શાખાએ અગાઉ તેજસ શાહ, ગીરા શાહ, માલવ શાહ અને દર્શના ભટ્ટ નામના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જે આરોપીઓએ પોસ્ટ વિભાગની અલગ અલગ સ્કીમમાં રોકાણ કરેલા રોકાણકારોના રૂપિયા યેન કેન પ્રકારે મેળવી લેતા હતા. જેમની સામે રૂપિયા ત્રણ કરોડ ૯૭ લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી.
આરોપીઓ પાસેથી પોલીસે પોસ્ટ વિભાગની કેટલીક પાસબુક પણ કબ્જે કરી હતી. હાલમાં પોલીસે પોસ્ટ ઓફિસમાં સર્ચ કરીને કેટલાક કોમ્પ્યુટર પણ કબ્જે કર્યા હતા. જેને તપાસ માટે એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને આ ગુનામાં અન્ય કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે.