Kamalnathના બેઉં બગડ્યા, કૉંગ્રેસમાં ટીકા ને ભાજપમાં પણ વિરોધ
![Congress leader Kamal Nath](https://bombaysamachar.com/wp-content/uploads/2023/10/Congress-leader-Kamal-Nath.webp)
ભોપાલઃ કૉંગ્રેસ (Congress)ના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ Kamalnath સાંસદ પુત્ર સહિત કૉંગ્રેસ છોડી ભાજપ (BJP)માં પ્રવેશ મેળવવાની અટકળો ભારે તેજ થઈ છે અને તેવા સમયે કૉંગ્રેસ તેને જૂના સંબંધો અને પક્ષે આપેલા સાથને યાદ અપાવી તેમની ટીકા કરી રહી છે ત્યારે બીજી બાજુ તેઓ જે પક્ષમાં જવાના છે તે ભાજપમાં પણ વિરોધ દેખાઈ રહ્યો છે.
ભાજપના શીખ નેતાઓનું કહેવું છે કે અત્યાર સુધી તેઓ તેમના સમુદાયના લોકો પાસેથી એમ કહીને વોટ માંગી રહ્યા છે કે ભાજપ તેમને ન્યાય અપાવશે. કમલનાથ એ જગદીશ ટાઇટલર અને સજ્જન કુમાર સાથે 1984ના શીખ રમખાણો દરમિયાન રમખાણોની આગેવાની કરનારા કોંગ્રેસના નેતાઓમાંના એક હતા.
કમલનાથના ભાજપ BJPમાં જોડાવાના મુદ્દે પાર્ટીમાં વિરોધ છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે 1984ના શીખ રમખાણોના આરોપી કમલનાથને પાર્ટીમાં લેવાથી શીખ સમુદાયમાં ખોટો સંદેશ જશે. તેનાથી દિલ્હી અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં નુકસાન થઈ શકે છે. પાર્ટીના શીખ નેતાઓનો દાવો છે કે તેમણે પક્ષશ્રેષ્ઠીઓ સમક્ષ વાત રાખી છે અને કમલનાથને પક્ષમાં ન લેવા તેવો મત વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના નેતા કમલનાથ અને તેમના પુત્ર નકુલ નાથના ભાજપમાં જોડાવા અંગે અટકળો ચાલી રહી છે ત્યારે આ વિરોધને લીધે કમલનાથ માટે સ્થિતિ અઘરી થવાના પૂરા એંધાણ છે. તેઓ કૉંગ્રેસમાં જ રહેશે તો પણ હવે પક્ષમાં કેટલું માન મળશે તે જોવાનું છે.
કમલનાથ હજુ પણ પુરાવા અને સાક્ષીઓના અભાવે બચી રહ્યા છે, પરંતુ ભાજપના નેતાઓ શીખ રમખાણોની તપાસ ફરીથી ખોલવાની અને ન્યાય આપવાની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપના નેતાઓનું કહેવું છે કે કમલનાથને પાર્ટીમાં લેવાથી નકારાત્મક સંદેશ જશે જેને ટાળવો જોઈએ.
દરમિયાન ભાજપના નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગા એ કહ્યું હતું કે કમલનાથ માટે ભાજપના દરવાજા બંધ છે. અગાઉ કૉંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે કમલનાથની રાજકીય સફર નહેરુ સાથે થઈ છે આથી તેઓ કૉંગ્રેસ છોડે તે શક્ય નથી. હવે રાજકારણમાં તો બધુ જ શક્ય છે ત્યારે આગળ શું થાય છે તે જોવાનુ રહ્યું.