Farmers Protest: આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે, સંયુક્ત કિસાન મોરચાએ કર્યું એલાન
નવી દિલ્હી: કેન્દ્ર સરકારની રણનીતિઓ છતાં આંદોલન કરી રહેલા ખેડૂતો પીછેહઠ કરવા તૈયાર નથી. સંયુક્ત કિસાન મોરચા (SKM) એ કહ્યું કે તે આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવશે. SKMએ જણાવ્યું હતું કે તેમનું પંજાબ એકમ 18 ફેબ્રુઆરીના રોજ જલંધરમાં એક બેઠક યોજશે અને તે પછી નવી દિલ્હીમાં એનસીસી અને જનરલ બોડીની બેઠકો યોજાશે અને સ્થિતિની સમીક્ષા કરશે અને ભવિષ્યની વ્યૂહરચના માટે સૂચનો આપશે.
ગઈ કાલે ભારત બંધના સંદર્ભમાં દિવસ દરમિયાન એક નિવેદનમાં, SKMએ કેન્દ્ર સરકાર પર વર્ષ 2020-21માં આંદોલન સમાપ્ત કરવા આપેલા વચનો પૂરા ન કરીને વાતાવરણને ખરાબ કરવાનો આરોપ મૂક્યો હતો.
SKMએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “SKMએ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાનો નિર્ણય કર્યો છે. શ્રમિકો અને અન્ય તમામ વર્ગોના સંકલન સાથે આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે.”
SKM એ આરોપ લગાવ્યો કે સાત મહિના પછી, તેઓએ(ભાજપે) MSP નો ખુલ્લેઆમ વિરોધ કરતા લોકો સાથે એક જૂથ બનાવ્યું. સંગઠને કહ્યું, “નરેન્દ્ર મોદી સરકારની કોર્પોરેટ અને સાંપ્રદાયિક નીતિઓ સામે ખેડૂતોમાં કેટલો ગુસ્સો છે, તે આજે ગ્રામીણ ભારત બંધમાં તેમની વિશાળ ભાગીદારીથી સ્પષ્ટ થઈ ગયું છે.”
SKM એ એવો પણ દાવો કર્યો હતો કે આ સ્વતંત્ર ભારતનું આ અત્યાર સુધીનો સૌથી વિશાળ વિરોધ પ્રદર્શન હતું, જેમાં આટલા બધા લોકોએ ભાગ લીધો હતો. આનાથી આગામી ચૂંટણીઓ પહેલા રાષ્ટ્રીય એજન્ડામાં લોકોની આજીવિકાનો મુદ્દો પાછો આવ્યો છે.