નવી દિલ્હી: દિલ્હી તરફ કૂચ કરવા નીકળેલા પંજાબના ખેડૂતો અને સુરક્ષા દળો વચ્ચેના સંઘર્ષને કારણે શંભુ અને દાતાસિંહ સરહદ પર તણાવની સ્થિતિ છે. કુચના બુધવારે બીજા દિવસે પણ ખેડૂતો અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. ખેડૂતોએ હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા જ સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ અને રબરની ગોળીઓ છોડીને તેમને અટકાવ્યા હતા. દાતાસિંહવાલા બોર્ડર પર રબરની ગોળીઓથી પાંચ ખેડૂતો ઘાયલ થયા હતા. એવામાં આજે ગુરુવારે સાંજે 5 વાગ્યે ચંદીગઢમાં સરકાર અને ખેડૂતો વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત થશે. ખેડૂતોએ બેઠક સુધી દિલ્હી તરફની તેમની કૂચ રોકી દીધી છે, પરંતુ 25 હજારથી વધુ ખેડૂતો હરિયાણાની સરહદો પર એકઠા થયા છે.
જીંદના દાતા સિંહ વાલા બોર્ડર પર લગાવેલા કાંટાળા તારને ખેડૂતોએ ઉખેડી નાખ્યા હતાં. પોલીસે રસ્તા પર લગાવેલા ખીલ્લાઓ પણ ખેડૂતોએ ઉખેડી નાખ્યા હતા. પ્રદર્શકારીઓને વિખેરવા માટે સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ, વોટર કેનન અને રબરની ગોળીઓનો ઉપયોગ કર્યો હતો. બુધવારે પણ ડ્રોનથી ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. તે જ સમયે, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલને ખેડૂતોને દિલ્હી જવાની મંજૂરી આપવા જણાવ્યું હતું.
પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના જનરલ સેક્રેટરી સર્વન સિંહ પંઢેર અને યુનાઈટેડ કિસાન મોરચા (બિનરાજકીય)ના નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે તેમને ગુરુવારની બેઠક માટે સરકાર તરફથી પત્ર દ્વારા આમંત્રણ મળ્યું છે. ખેડૂતો સરકાર સાથે સંઘર્ષ નથી ઇચ્છતા અને મંત્રણા માટે તૈયાર છે. આ બંને નેતાઓ ખેડૂતો તરફથી બેઠકમાં ભાગ લેશે, જ્યારે કેન્દ્ર સરકાર તરફથી પીયૂષ ગોયલ, અર્જુન મુંડા અને નિત્યાનંદ રાય બેઠકમાં ભાગ લેશે.
ખેડૂતો સાથેની વાતચીતના ત્રીજા રાઉન્ડ પહેલા બુધવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓની બેઠક યોજાઈ હતી. મુંડાની સાથે સંરક્ષણ પ્રધાનરાજનાથ સિંહ અને કેટલાક અન્ય પ્રધાનો સામેલ હતા. રાજનાથ સિંહ અગાઉ કૃષિ પ્રધાન રહી ચૂક્યા છે. બેઠકમાં ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ શોધવાની ચર્ચા કરવામાં આવી હતી.
દલ્લેવાલ અને પંઢેરે જણાવ્યું હતું કે જ્યાં સુધી ત્રણ માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આ માંગણીઓ છે – એમએસપીની કાયદાકીય ગેરંટી, લોન માફી અને ઇલેક્ટ્રિસિટી એક્ટ રદ્દ કરવો. પંઢેરે રાજ્યની સરહદ પર અર્ધલશ્કરી દળોની તૈનાતી, પોલીસ કાર્યવાહી અને ડ્રોનના ઉપયોગ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જો ખેડૂતો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે તો બળપ્રયોગ શા માટે કરવામાં આવી રહ્યો છે.
ભારતીય કિસાન યુનિયને ખેડૂતો પર થયેલી કાર્યવાહીના વિરોધમાં ગુરુવારે પંજાબમાં ટ્રેનો રોકવાની જાહેરાત કરી છે. તેમજ યુનાઇટેડ કિસાન મોરચાના 34 જૂથોએ 15 ફેબ્રુઆરીના રોજ સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી ટોલ પ્લાઝા ફ્રી કરવાની જાહેરાત કરી છે.
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…
"Discover effective natural remedies to manage diabetes and lower blood sugar levels without relying on medication. Embrace a healthier lifestyle with these easy-to-follow tips."