ઠાકરે જૂથના અનેક નેતાઓ શિંદે જૂથના સંપર્કમાં હોવાનો દાવો
મુંબઈ: ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને અનેક દસકા સુધી કૉંગ્રેસમાં કામ કરનારા અશોક ચવ્હાણ ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ગયા છે. ભાજપએ તેમને રાજ્યસભાની ઉમેદવારી આપી છે. અશોક ચવ્હાણે પક્ષ બદલ્યો હોવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ચવ્હાણ બાદ કૉંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાવા ઉત્સુક હોવાનો દાવો સત્તાધારી શિવસેના (શિંદે જૂથ) અને ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ વાતાવરણમાં શિંદે જૂથના નેતા સંજય શિરસાટે મરાઠી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં મોટો દાવો કરી જણાવ્યું છે કે ‘ઠાકરે જૂથના અનેક નેતા અમારા પક્ષમાં જોડાવા ઉત્સુક છે. ઘણા દિવસોથી ઠાકરે જૂથના કેટલાક નેતા અને વિધાનસભ્યો અમારી સાથે જોડાઈ જવા વિચારી રહ્યા છે. આગામી ત્રણેક દિવસમાં કોલ્હાપુર અધિવેશનમાં એનો ખુલાસો થઈ જશે.’ અશોક ચવ્હાણ વિશે પ્રતિક્રિયા આપતા શિરસાટે જણાવ્યું કે ‘તેઓ ભાજપમાં જવાના છે એની અમને અગાઉ જ જાણ થઈ હતી. બીજા અનેક નેતા છે જે બોલે છે કે મરીશું ત્યાં સુધી કૉંગ્રેસ નહીં છોડીએ એવું સોગંદ ખાઈને કહે છે ને પણ તેઓ મૃત્યુ સુધી નહીં, પણ લોકસભાની ચૂંટણી જાહેર થાય ત્યાં સુધી કૉંગ્રેસમાં રહે તોય બહુ છે. આગામી ૧૫ દિવસમાં કૉંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જતા નજરે પડશે. કૉંગ્રેસ ગમે ત્યારે ભાંગી પડશે.એનો કોઈ વાલી નથી.’