ખેડૂતોનું આંદોલન હિંસક બન્યું: અનેક ઘાયલ
હરિયાણાના સીમાડે પોલીસે અશ્રુવાયુ છોડ્યો
રાજ્યની સરહદ પર તંગદિલી: પંજાબ હરિયાણાની શંભુ સરહદ પર જમા થયેલા ખેડૂત આંદોલનકારીને ખસેડવા માટે પોલીસે અશ્રુવાયુનો ઉપયોગ કર્યો હતો. (પીટીઆઈ)
હરિયાણાના સીમાડે પોલીસે અશ્રુવાયુ છોડ્યો
ચંડીગઢ / નવી દિલ્હી: પંજાબના અંદાજે પચાસ ખેડૂત સંગઠને પોતાની વિવિધ માગણી માટે કેન્દ્ર સરકાર પર દબાણ વધારવા માટે ફતેહગઢ સાહિબથી દિલ્હી સુધીની કૂચ શરૂ કરી હતી, પરંતુ પંજાબ અને હરિયાણાની સીમા પર જ આ આંદોલન હિંસક બની ગયું હતું તેમ જ ખેડૂતોની પોલીસ સાથે અથડામણ થઇ હતી અને પથ્થરમારો પણ કરાયો હતો. હિંસામાં ૧૩થી વધુ લોકો ઘાયલ થયા હતા.
પંજાબથી હરિયાણા જતા માર્ગો પર સેંકડોની સંખ્યામાં ટ્રેક્ટર-ટ્રોલી ઊભા હોવાથી વાહનવ્યવહાર ઠપ થઇ ગયો છે. પંજાબ અને હરિયાણાની સીમા પર આવેલા શંભુ બૉર્ડર વિસ્તારમાં ખેડૂતોએ પોલીસ દ્વારા લગાવાયેલી બેરિકેડ્સ હટાવવા પ્રયાસ કર્યો હતો અને મોટા પાયે પથ્થરમારો શરૂ કર્યો હતો.
હરિયાણા પોલીસે અંબાલાની નજીક આવેલી શંભુ બૉર્ડરના વિસ્તારમાં પંજાબના ખેડૂતો હિંસક બનતા પોલીસે તોફાનીઓને વિખેરવા માટે અશ્રુવાયુ છોડ્યો હતો. હરિયાણાના જિંદ જિલ્લામાં ભારે તંગદિલી ઊભી થઇ હતી. પંજાબના ખેડૂતો પાકના લઘુતમ ટેકાના ભાવ
અને કરજ-માફીની માગણીને લઇને સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મઝૂદર મોરચા દ્વારા ‘દિલ્હી ચલો આંદોલન’ કરાઇ રહ્યું છે.
હરિયાણા પોલીસે દિલ્હી તરફ જતા ધોરીમાર્ગ પર અનેક ઠેકાણે કાંટાળા તાર, કૉંક્રીટના સ્લેબ્સ સહિતના અનેક વિઘ્ન ઊભાં કર્યાં છે.
સલામતી દળોએ યુવાનોને બેરિકેડ્સથી દૂર રહેવાની સલાહ આપી હતી. ખેડૂતોએ ધાતુના બેરિકેડ્સને તોડીને તે ઘગ્ગર નદીના પુલ પરથી નીચે ફેંક્યા હતા. પોલીસે તોફાનીઓને વિખેરવા અશ્રુવાયુ છોડ્યો હતો અને અથડામણમાં અનેક લોકો ઘાયલ થયા હતા.
પંજાબના ખેડૂતોને દિલ્હી તરફ આગળ વધતા રોકવા માટે અંબાલા, જિંદ, ફતેગાબાદ, કુરુક્ષેત્ર અને સિરસા ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે.
અગાઉ, ખેડૂતોના સંગઠનોના પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે સોમવારે યોજાયેલી મંત્રણા નિષ્ફળ ગઇ હતી.
આમ છતાં, કેન્દ્રના કૃષિ પ્રધાન અર્જુન મુંડા અને અન્ન તેમ જ ગ્રાહકોની બાબતોને લગતા પ્રધાન પીયૂષ ગોયલે દાવો કર્યો હતો કે ખેડૂતોની મોટા ભાગની માગણી અંગે સંમતિ સધાઇ છે. (એજન્સી)