ટોપ ન્યૂઝનેશનલ

White paper in Lok Sabha: મોદી સરકારના ‘શ્વેત પત્ર’ પર આજે લોકસભામાં ચર્ચા, જાણો શું છે ખાસ


કેન્દ્ર સરકારના શ્વેતપત્ર પર લોકસભામાં બપોરે 12 વાગ્યે ચર્ચા શરૂ થઈ શકે છે. અહેવાલો અનુસાર શ્વેતપત્ર પર નિયમ 342 હેઠળ ચર્ચા કરવામાં આવશે. આ અંગેની ચર્ચા લગભગ 4 કલાક સુધી ચાલી શકે છે. શ્વેતપત્રમાં કેન્દ્ર સરકારે 2014 પહેલા અને પછીના ભારત અને તેની અર્થવ્યવસ્થા વચ્ચેના તફાવતોને વિગતવાર વર્ણવ્યા છે. મોદી સરકારના શ્વેતપત્રમાં કહેવામાં આવ્યું છે કે UPAએ 10 વર્ષમાં અર્થવ્યવસ્થાને નોન-પરફોર્મિંગ બનાવી દીધી છે.
શ્વેતપત્રમાં કહેવામાં આવ્યું છે કે, 2014માં ભારત વિશ્વની 5 સૌથી નબળી અર્થવ્યવસ્થાઓમાં સામેલ હતું. હવે આપણે ટોચની 5 અર્થવ્યવસ્થાઓમાં સામેલ છીએ. ભારતની અર્થવ્યવસ્થા દર વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ત્રીજું સૌથી મોટું યોગદાન આપે છે.


શ્વેતપત્રમાં કહેવામાં આવ્યું કે યુપીએ સરકારે દેશનો આર્થિક પાયો નબળો કરી નાખ્યો હતો. યુપીએના સમયગાળા દરમિયાન ભારતીય રૂપિયામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. 2014 પહેલા દેશમાં બેંકિંગ સેક્ટર સંકટમાં હતું, વિદેશી મુદ્રા ભંડારમાં પણ અછત હતી. તત્કાલીન સરકારે મોટી લોન લીધી હતી. યુપીએ સરકારે આવકનો દુરુપયોગ કર્યો હતો. શ્વેત પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “UPA સરકાર હેઠળના સંરક્ષણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડોને કારણે નિર્ણય લેવાનું અટકી ગયું હતું, સરકારે સંરક્ષણ સજ્જતા સાથે સમાધાન કર્યું હતું. સરકારે આર્ટિલરી અને એન્ટી એરક્રાફ્ટ ગન, ફાઇટર જેટ્સ, સબમરીન, નાઇટ ફાઇટીંગ ગિયર્સની વગેરે સાધનોના અપગ્રેડિંગમાં વિલંબ કર્યો”
શ્વેતપત્રમાં કોલસા કૌભાંડનો પણ ઉલ્લેખ છે.


સરકારે કહ્યું, “2014માં કોલસા કૌભાંડે દેશના અંતરાત્માને આંચકો આપ્યો હતો. 2014 પહેલા, કોલસાના બ્લોકની ફાળવણી પારદર્શક પ્રક્રિયાને અનુસર્યા વિના મનસ્વી ધોરણે કરવામાં આવી હતી. કોલસા ક્ષેત્રને સ્પર્ધા અને પારદર્શિતાથી દૂર રાખવામાં આવ્યું હતું. આ ક્ષેત્રમાં રોકાણ અને કાર્યક્ષમતાનો અભાવ હતો.” શ્વેત પત્ર મુજબ 2014માં કોમનવેલ્થ ગેમ્સના પહેલા 12 દિવસમાં કૌભાંડ થયું હતું. હવે 2023 માં, અમે ખૂબ જ વિશાળ અને એક વર્ષ-લાંબા G-20 સમિટના પ્રમુખપદનું સફળતાપૂર્વક આયોજન કર્યું. આમાં ભારતે વૈશ્વિક સમસ્યાઓના સ્વીકાર્ય ઉકેલો આપીને તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

શ્વેતપત્ર અનુસાર, મોદી સરકારના 10 વર્ષમાં પ્રાપ્ત થયેલી પ્રગતિએ યુપીએ સરકારના છેલ્લા 10 વર્ષની સ્થિરતા અને દિશાહીનતાને દૂર કરી છે. વર્ષ 2024માં 2014ની શંકા અને સુસ્તીનું સ્થાન આત્મવિશ્વાસે લીધું છે.


તો બીજીતરફ કોંગ્રેસે મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળ પર બ્લેક પેપર બહાર પાડ્યું. કોંગ્રેસે પોતાના બ્લેક પેપરને ’10 વર્ષ, અન્યાયનો સમયગાળો’ નામ આપ્યું છે. કોંગ્રેસે ભાજપ પર 10 વર્ષમાં 411 વિપક્ષી વિધાનસભ્યોને પોતાની તરફ લલચાવીને લોકશાહીનો નાશ કરવાનો આરોપ લગાવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button