મંદિરમાં બાળકી પર દુષ્કર્મ કરનારા નરાધમને 30 વર્ષની જેલ, સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો
![Naradham, who raped a girl in a temple, was sentenced to 30 years in prison by the Supreme Court](https://bombaysamachar.com/wp-content/uploads/2024/02/Mahendra-Singh-Dhoni-showcasing-the-Whoop-Band-a-fitness-wearable-emphasizing-its-health-monitoring-features-in-the-latest-update.-5.jpg)
મધ્યપ્રદેશમાં વર્ષ 2018માં બનેલી દુષ્કર્મની ઘટનાનો સુપ્રીમે આજે ચુકાદો આપ્યો છે. આ કેસમાં આરોપીની દોષસિદ્ધિને યથાવત રાખતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે તેને 30 વર્ષની કેદની સજા ફટકારી છે, તેમજ આ કૃત્ય ‘જંગલી જેવા વ્યવહાર’ તથા ‘બર્બરતા’ની શ્રેણીમાં આવે છે તેવી ટિપ્પણી કરી હતી.
પીડિત બાળકીના દાદાએ આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તે સમયે આરોપીની ઉંમર 30 વર્ષ હતી. આરોપી 7 વર્ષની પીડિત બાળકીને મંદિરે લઇ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી દોષિત પુરવાર થતા ટ્રાયલ કોર્ટે કલમ 376 AB હેઠળ મૃત્યુદંડની સજા ફટકારી હતી.
જો કે મધ્યપ્રદેશ હાઇકોર્ટે સજાને આજીવન કેદમાં બદલી નાખી હતી. ન્યાયાધીશ સી ટી રવિકુમાર અને રાજેશ બિંદલે આરોપીની ઉંમર અને પહેલેથી જેલમાં જ હોવાના કારણે તેની સજામાં ફેરફાર કરીને તેને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં ટિપ્પણી કરી હતી કે આ ઘટનાને પગલે પીડિતાને કેટલો આઘાત પહોંચ્યો હશે, ન્યાયાધીશે કહ્યું હતું કે જ્યારે પીડિતા મંદિરમાં જશે ત્યારે તેણે જે દુર્ભાગ્યપૂર્ણ અને ભયાનક યાતના વેઠી છે તે તેને યાદ આવશે, એવું પણ શક્ય છે કે આગળ જતા આ ઘટના તેના વૈવાહિક જીવન પર પણ અસર કરે.
ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે આરોપી પહેલેથી જ જેલમાં હોવાને કારણે અમે તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઇને તેને 30 વર્ષની કેદની સજા સંભળાવીએ છીએ.