આર્થિક વિકાસના લક્ષ્ય સાથેનું કરદાતાઓને નિરાશ કરતું: નરો વા કુંજરો વા બજેટ
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/02/dv-1.jpg)
મુંબઇ: મોદી સરકારનું આ બીજું વચગાળાનું બજેટ છે. આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ ટૂંકું પરંતુ નિરસ રહ્યું હતું. બજેટમાં ઘણી નાની-મોટી જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ કરદાતાઓને નિરાશા સાંપડી છે. એમ કહી શકાય કે માસ્તરે ભણાવ્યું ખરું, પરંતુ આપ્યું કશું નહીં!
સરકારે આ વખતે આવકવેરામાં સામાન્ય માણસને કોઈ રાહત આપી નથી. જોકે, રૂ. ૨૫,૦૦૦ સુધીની વિવાદિત ટેક્સ ડિમાન્ડ પડતી મૂકવાની દરખાસ્ત કરી છે. અર્થતંત્રને અનુલક્ષીને બજેટમાં રાજકોષીય ખાધમાં ઘટાડો જાહેર કર્યો છે. આર્થિક વિકાસને આગળ ધપાવવા માટે કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે મૂડીગત ખર્ચમાં આગલા નાણાકીય વર્ષ માટે ૧૧ ટકાનો વધારો કર્યો છે.
નાણાં પ્રધાને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે કોઇ મોટા ફેરફારની જાહેરાત કરી નથી. એક કલાકથી પણ ઓછા સમયના પ્રવચનમાં સીતારમણે સરકારે હાંસલ કરેલી સિદ્ધિઓ વધુ વર્ણવી હતી. તેમણે આગામી નાણાંકીય વર્ષ માટે મૂડીગત ખર્ચ વધારીને રૂ. ૧૧.૧૧ લાખ કરોડ જાહેર કર્યો છે. એ જ સાથે રાજકોષીય ખાધનો અંદાજ ૨૦૨૪-૨૫ માટે જીડીપીના ૫.૯ ટકાના અંદાજથી ઘટાડીને ૫.૮ ટકા જાહેર કર્યો છે, તેમ જ તે પછીના નાણાકીય વર્ષમાં તે ઓર ઘટાડીને ૫.૧ ટકા કરવાની જાહેરાત કરી છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, રાજકોષીય ખાધ ૫.૧ ટકા રહેવાનો
અંદાજ છે. ખર્ચ રૂ. ૪૪.૯૦ કરોડ અને અંદાજિત આવક રૂ. ૩૦ લાખ કરોડ રહેવાનું અનુમાન છે. ૧૦ વર્ષમાં આવકવેરા વસૂલી ત્રણ ગણી વધી છે. ટેક્સ રેટમાં ઘટાડો કર્યો છે. તેમણે યાદ અપાવ્યું હતું કે, સાત લાખની આવક ધરાવતા લોકોએ હવે કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.
રેલવેને લગતી ઘણી મહત્ત્વની જાહેરાત કરી હતી. નાણાપ્રધાને કહ્યું હતું કે, મુસાફરોેની સલામતી, સુવિધા અને આરામ માટે ૪૦,૦૦૦ સામાન્ય રેલવે કોચને વંદેભારત ટ્રેનના કોચની જેમ અપગ્રેડ કરવામાં આવશે. ત્રણ નવા રેલવે કોરિડોરની પણ તેમણે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, અમે બાયોફ્યુઅલ માટે સમર્પિત સ્કીમ લાવ્યા છીએ. જાહેર પરિવહન માટે ઈ-વાહનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેલવે-દરિયાઈ માર્ગને જોડવા પર પણ ભાર મૂકવામાં આવશે. પ્રવાસન કેન્દ્રોના વિકાસને વેગ આપશે. પ્રવાસન ક્ષેત્રે વિકાસ ઝડપી બની રહ્યો છે.
રાજ્યોને વ્યાજમુક્ત લોન આપવામાં આવી રહી છે. ટિયર-૨ અને ટિયર-૩ શહેરોને હવાઈ માર્ગે જોડવામાં આવશે. લક્ષદ્વીપમાં નવા પ્રોજેક્ટ શરૂ થશે. પીએમ આવાસ યોજનામાં ૭૦ ટકા ઘર મહિલાઓ માટે બનાવવામાં આવ્યા છે. પ્રવાસન ક્ષેત્રમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે. ૭૫ હજાર કરોડની લોન વ્યાજમુક્ત આપવામાં આવી છે. પૂર્ણ બજેટ જુલાઈમાં આવશે. જેમાં વિકસિત ભારતનો રોડમેપ રજૂ કરવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ૧૧ ટકા વધુ ખર્ચ કરવામાં આવશે. વસતિ વધારા અંગે એક સમિતિની રચના કરવામાં આવી છે.