બેઠકોની વહેંચણી: મુખ્ય પ્રધાન અને બંને નાયબ મુખ્ય પ્રધાનોને દિલ્હીનું તેડું: નીતીશ કુમાર પણ હાજર રહેશે..
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, ત્રણેય મોટા નેતાઓ એકસાથે દિલ્હી જવાના છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આગામી સપ્તાહમાં દિલ્હીમાં ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા થશે. આગામી લોકસભા ચૂંટણીની પશ્ર્ચાદભૂમિમાં દિલ્હીમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ દ્વારા જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ તૈયારીના ભાગરૂપે દિલ્હીમાં બીજેપીની આગેવાની હેઠળની એનડીએની ખૂબ જ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક માટે મહારાષ્ટ્ર સરકારના ત્રણેય અગ્રણી નેતાઓ દિલ્હી જશે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી સપ્તાહમાં દિલ્હીમાં યોજાનારી એનડીએની બેઠકમાં લોકસભાની ચૂંટણી માટે બેઠકોની ફાળવણી અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં બેઠક ફાળવણી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે તેવી માહિતી સૂત્રોએ આપી છે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. રસપ્રદ વાત એ છે કે આ બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સાથે એનડીએના ઘટક પક્ષોના મુખ્ય નેતાઓ પણ સહભાગી થશે.
મહાયુતિની બેઠકોની વહેંચણી કેવી રહેશે?
દેશભરના મોટા ભાગના વિપક્ષો એકસાથે આવતા જણાય છે. તેમણે આ વિપક્ષી ગઠબંધનનું નામ ઈન્ડિયા અઘાડી નક્કી કર્યું છે. મહારાષ્ટ્રમાં શિવસેના ઠાકરે જૂથ, એનસીપી પ્રમુખ શરદ પવારની આગેવાની હેઠળનું જૂથ અને કોંગ્રેસ ઘટક પક્ષો છે. આ ઉપરાંત વિપક્ષી પાર્ટીઓ વંચિત
બહુજન આઘાડી અને અન્ય નાની પાર્ટીઓ સાથે પણ વાતચીત કરી રહી હોવાની માહિતી મળી રહી છે. ઈન્ડિયા અઘાડીનો જન્મ થયો હોવા છતાં આ અઘાડી મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી તરીકે ઓળખાય છે. આ મહાવિકાસ આઘાડી રાજ્યમાં અઢી વર્ષ સત્તામાં પણ હતી. દરમિયાન, મહાવિકાસ અઘાડીના બે ઘટક પક્ષો વચ્ચે મોટું વિભાજન થયું અને આઘાડીએ સત્તા ગુમાવી. હવે પરિસ્થિતિ જુદી છે. પરંતુ તેમ છતાં તેઓ શાસકપક્ષ માટે કપરો પડકાર બની રહ્યા છે.
આ સંભવિત પડકારને ધ્યાનમાં લઈને સત્તાધારી ભાજપ અને તેના સહયોગીઓ પણ કામે લાગી ગયા છે. આગામી સપ્તાહે એનડીએની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર માટે આ બેઠક મહત્વની છે. કારણ કે લોકસભા ચૂંટણી માટે સત્તાધારી પક્ષો વચ્ચે કેવી રીતે બેઠકોની વહેંચણી થશે તે જોવું અગત્યનું રહેશે. મહારાષ્ટ્રમાં મહાયુતિમાં માત્ર બે મુખ્ય પક્ષો હતા. પરંતુ હવે નાયબ મુખ્યમંત્રી અજિત પવારના જૂથની ભાગીદારીથી મહાયુતિનો વ્યાપ વધ્યો છે. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ ૪૮ બેઠકો છે. તેમાંથી અજિત પવારના જૂથ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટીને કેટલી બેઠકો મળે છે તે જોવું રસપ્રદ રહેશે.