વડોદરામાં સ્લેબ પડતાં ત્રણ વ્યક્તિ કાટમાળ નીચે દટાયા: એકનું મોત; બે ઘાયલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નારીયા ગામમાં મકાનનો સ્લેબ ત્રણ વ્યક્તિ તોડી રહ્યા હતા. એકાએક સ્લેબ ધરાશાયી થતાં કામ કરી રહેલા ત્રણેય વ્યક્તિ કાટમાળ નીચે દટાઇ ગઇ હતી. એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેમને નજીકની હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ડભોઈ તાલુકાના નારીયા ગામમાં મકાન તોડવાનું કામ ગામમાં રહેતા કાનજી વણકર (ઉં.વ.૫૫), રતિલાલ વસાવા અને કિરણ વસાવા કરતા હતા. દરમિયાન મકાનનો સ્લેબ એકાએક ધડાકા સાથે ધરાશાયી થતાં ત્રણેય સ્લેબના કાટમાળ નીચે દબાઇ ગયા હતા. સ્લેબ ધડાકાભેર તૂટતા ફળિયાના લોકો ભેગા થઇ ગયા હતા અને કાટમાળ દૂર કરીને દટાયેલા ત્રણેય વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ત્રણ પૈકી કાનજી વણકરનું મોત નિપજ્યું હતું. જ્યારે રતિલાલ વસાવા અને કિરણભાઇ વસાવા ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક નજીકની હૉસ્પિટલ લઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.