આમચી મુંબઈ

મનોજ જરાંગેને મનાવવાના પ્રયાસો નિષ્ફળ

આઝાદ મેદાનમાં આવીને બેસીશું, આરક્ષણ મળ્યા વગર પાછા નહીં ફરીએ: જરાંગે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમે હવે આરક્ષણ લીધા વગર પાછા ફરીશું નહીં. અમે આઝાદ મેદાનમાં જઈને બેસીશું, એવો મક્કમ નિર્ધાર મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે-પાટીલે ગુરુવારે લોણાવલામાં વ્યક્ત કર્યો હતો. મુંબઈ પોલીસ દ્વારા પરવાનગી નકારવામાં આવ્યા બાદ જરાંગે-પાટીલ કેવું વલણ અપનાવે છે તેની ચર્ચા ચાલી રહી છે ત્યારે આઝાદ મેદાનમાં વ્યાસપીઠ તૈયાર કરી નાખવામાં આવી છે અને ત્યાં જ જઈને આંદોલન કરીશું એમ તેમણે કહ્યું હતું.

મનોજ જરાંગે પાટીલે કહ્યું હતું કે જનતાને કનડગત કરવામાં આવશે નહીં, તેઓ કામ કરી રહ્યા છે. આરક્ષણ અંગે માલિકોએ (મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાન) ઉકેલ શોધી કાઢવો એવી અમારી માગણી છે. અમે સરકારને સહકાર કરવા માટે તૈયાર છીએ. અમે ઉકેલ શોધવા માટે પણ તૈયાર છીએ.

માલિક આવશે તો અમે ચર્ચા કરીશું, પરંતુ તેઓ ન આવે તો અમે કેવી રીતે ચાર્ચ કરી શકીએ. ‘સગાસંબંધી’ અંગેનો આદેશ કાઢ્યો કે? એવો સવાલ કરતાં તેમણે કહ્યું હતું કે માગણીઓ પર હજી સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

અમને પરવાનગી નકારવામાં આવી નથી. કોર્ટનો આદેશ છે એટલે સહી કરી આપી છે. જ્યાં સુધી આરક્ષણ નહીં મળે ત્યાં સુધી હવે પીછેહઠ કરીશું નહીં. અમે મુંબઈ જવાના જ છીએ. અમારી સાથે દગો ન થાય તે માટે સાવધ રહેવું સારું. આથી કોઈ તોફાન કરે તો પોલીસને સોંપી દેવો એવી સલાહ અમને આપવામાં આવી છે. અમારી માગણી ફક્ત એટલી જ છે કે માલિકોએ આવવું.

મનોજ જરાંગે-પાટીલને પોલીસની નોટિસ

મુંબઈ પોલીસ દ્વારા મનોજ જરાંગે પાટીલને નોટિસ મોકલવામાં આવી હતી. મુંબઈમાં થનારા તેમના આંદોલન બાબતે આ નોટિસ આપવામાં આવી છે. મરાઠા આંદોલનને કારણે મુંબઈના દૈનિક વાહન વ્યવહારમાં કોઈ પ્રકારનો અવરોધ ઊભો થવો જોઈએ નહીં એવું નોટિસમાં કહેવામાં આવ્યું છે. આંદોલનકારીઓની સંખ્યાને ધ્યાનમાં રાખતાં મુંબઈમાં એકેય મેદાન આંદોલનકારીઓને સમાવી શકે એટલું મોટું નથી. આથી આંદોલન કરવા માટે ખારઘરના ઈન્ટરનેશનલ કોર્પોરેશન પાર્ક મેદાન સુયોગ્ય રહેશે એવું પણ પોલીસ દ્વારા નોટિસમાં જણાવવામાં આવ્યું છે.

આઝાદ મેદાનમાં નારિયેળ ફૂટ્યું: સ્ટેજ પણ બંધાયો

એક તરફ આઝાદ મેદાન પોલીસે પરવાનગી નકારી હોવા છતાં બીજી તરફ મરાઠા આંદોલનકારીઓ દ્વારા આઝાદ મેદાનમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મનોજ જરાંગે-પાટીલ ૨૬ જાન્યુઆરીએ મુંબઈના આઝાદ મેદાનમાં દાખલ થવાના છે. અમે આ પહેલાં પણ પત્રવ્યવહાર કર્યો હતો. આઝાદ મેદાનની પરવાનગી પહેલાં જ માગી હતી. અમે સ્ટેજ બાંધવાનું કામ પણ શરૂ કરી દીધું છે. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદન પણ આઝાદ મેદાનમાં જ કરીશું, એમ મરાઠા અનામત કાર્યકર્તા વીરેન્દ્ર પવારે કહ્યું હતું.

સરકાર સકારાત્મક, આંદોલનની આવશ્યકતા નથી: એકનાથ શિંદેની અપીલ
મુંબઈ: મરાઠા સમાજને અનામતનો લાભ આપવા માટે સરકાર કટિબદ્ધ છે. ગઈકાલે પણ સરકારનું વલણ આ જ હતું અને આજે પણ સરકાર તેના પર અકબંધ છે. સરકાર તમારી જ છે અને તે હાથ ટૂંકા કરવા માગતી નથી. સરકાર કામ ન કરતી હોય તો આંદોલન યોગ્ય છે, પરંતુ સરકાર કામ કરી રહી હોવાથી આંદોલનની આવશ્યકતા નથી, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે કહ્યું હતું.
પોતાના વતન સાતારામાં તેમણે કહ્યું હતું કે સરકાર આરક્ષણ આપવા માટે કામ કરી રહી છે. મનોજ જરાંગે-પાટીલને વિનંતી પણ કરવામાં આવી છે. સરકાર અનામત આપવા માટે કામ કરી રહી છે. આશ્ર્વાસન નહીં જે આપવાનું છે તેનું જ કામ અત્યારે ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં સરકારને સહકાર કરવી એવી અપીલ તેમણે કરી હતી.

સરકાર અનામત આપવા માટે કટિબદ્ધ છે. આંદોલન કરવાની કોઈ આવશ્યકતા નથી. સરકાર સકારાત્મક ન હોય ત્યારે આંદોલન કરવું યોગ્ય છે, આથી સરકાર સકારાત્મક હોય તો સરકારને સહકાર કરવાની આવશ્યકતા છે. સરકાર તમારી જ છે. બધા જ મરાઠા બાંધવોને મુખ્ય પ્રધાન તરફથી અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાજની અનામતને નુકસાન ન કરતાં આરક્ષણ આપવાનું છે. આથી બેકવર્ડ કમિશનનું કામ પણ ચાલી રહ્યું ચે. ૪૦,૦૦૦ લોકો ત્રણ શિફ્ટમાં કામ કરી રહ્યા છે. કુણબી નોંધ મળે તે મુજબ પ્રમાણપત્રો આપવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે, એવી પણ માહિતી એકનાથ શિંદેએ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button