લોકસભા ચૂંટણી પહેલા વધુ એક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું રાજીનામું: ભાજપમાં જોડાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. વડોદરાની વાઘોડીયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગુરૂવારે વિધાનસભા સ્પીકરને મળીને રાજીનામું સોંપી દીધું હતું. જે બાદ તેવો ભાજપમાં જોડાઇ જશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.
ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા સ્પીકર શંકરસિંહ ચૌધરીને રાજીનામું આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રામલલાનું આટલું મોટું મંદિર બન્યું છે ત્યારે દેશમાં રામ રાજ્ય સ્થપાવવાની દિશામાં છે. મારા વિસ્તારના મતદારો અને મારી પોતાની પણ લાગણી છે કે, આપણા ગુજરાતના બંને પનોતા પુત્રના હાથ મજબૂત કરવા માટે હું રાજીનામું આપું. હું મારા વિસ્તારના લોકોને સાથે લઇને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇશ. પાર્ટીનો જે પણ આદેશ હશે અને મારા મતવિસ્તારના લોકો જે પણ આદેશ આપશે તો હું ચૂંટણી અવશ્ય લડીશ.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરાની વાઘોડીયા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી અને તેઓ જીત્યા હતા. તેઓનો પહેલેથી જ ભાજપને જ સપોર્ટ હતો. હવે તેઓએ રાજીનામું આપી દીધું છે અને તેઓ ભાજપમાં જોડાશે તેમ પણ જણાવ્યુ છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર આ બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે.