Bilkis Bano case: તમામ 11 દોષિતોએ મોડી રાત્રે ગોધરા જેલમાં કર્યું આત્મસમર્પણ
સુપ્રિમ કોર્ટે પ્રખ્યાત બિલ્કીસ બાનો કેસ (bilkis bano case) ના આરોપીઓને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી સજા માફી રદ કર્યા બાદ, બિલકિસ બાનો કેસના તમામ 11 આરોપીઓએ રવિવારે મોડી રાત્રે કડક પોલીસ દેખરેખ હેઠળ ગોધરા સબ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. સુપ્રિમ કોર્ટે પ્રખ્યાત બિલ્કીસ બાનો કેસના આરોપીઓને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માફી રદ કર્યા બાદ, તેઓને 21 જાન્યુઆરી સુધીમાં જેલમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તમામ 11 દોષિતો બે ખાનગી વાહનોમાં રાત્રે 11:30 વાગ્યે સિંગવડ રણધિકપુરથી ગોધરા સબ જેલ પહોંચ્યા અને પોતાને જેલ હવાલે કરી દીધા હતા.
સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર એનએલ દેસાઈએ સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે, તમામ 11 દોષિતોએ રવિવારે મોડી રાત્રે જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. જણાવી દઈએ કે, 8 જાન્યુઆરીના રોજ, સુપ્રીમ કોર્ટે હાઈ-પ્રોફાઈલ કેસમાં 11 દોષિતોને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટ રદ કરી હતી, જ્યારે રાજ્યને એક આરોપી સાથેની મિલીભગત અને તેના વિવેકબુદ્ધિનો દુરુપયોગ કરવા બદલ ઠપકો આપ્યો હતો. કોર્ટે 2022 માં સ્વતંત્રતા દિવસ પર અકાળે મુક્ત થયેલા દોષિતોને બે અઠવાડિયાની અંદર જેલમાં પાછા ફરવાનો આદેશ આપ્યો હતો.
થોડા દિવસો પહેલા, સુપ્રીમ કોર્ટે ગુનેગારોને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાની અરજીને ફગાવી દીધી હતી અને તેમને કોઈપણ સંજોગોમાં રવિવાર સુધીમાં આત્મસમર્પણ કરવા કહ્યું હતું. 11 દોષિતોમાં બકાભાઈ વહોનિયા, બિપિન ચંદ્ર જોશી, કેસરભાઈ વહોનિયા, ગોવિંદ નાઈ, જસવંત નાઈ, મિતેશ ભટ્ટ, પ્રદીપ મોરઢિયા, રાધેશ્યામ શાહ, રાજુભાઈ સોની, રમેશ ચંદના અને શૈલેષ ભટ્ટનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2002માં ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોના આતંકમાંથી બચવાનો પ્રયાસ કરતી વખતે બિલકીસ બાનો 21 વર્ષની અને પાંચ મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેના પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં આરોપીએ તેના પરિવારના સભ્યોની પણ હત્યા કરી નાખી હતી. આમાં બિલ્કીસની ત્રણ વર્ષની પુત્રીનો પણ સમાવેશ થાય છે.