શ્રીકાંત શિંદેની સત્તાવાર નેધરલેન્ડ્સ યાત્રા પર આદિત્ય ઠાકરેની ટીકા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ શિવસેનાના નેતા અને સંસદસભ્ય શ્રીકાંત શિંદેનો નેધરલેન્ડ્સની સત્તાવાર ટૂર પર પાલિકાના અધિકારીઓ સાથે જવાની ટીકા કરી હતી.
સોશ્યિલ મીડિયા પર શિંદેનું નામ લખ્યા વગર એક પોસ્ટ કરીને તેમણે લખ્યું હતું કે ગદ્દારોની ટોળકીના એક સંસદસભ્ય કલ્યાણ-ડોંબિવલી અને થાણે મનપાના કમિશનરો અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના એડિશનલ કમિશનર સાથે નેધરલેન્ડસની સત્તાવાર ટૂર પર ગયા હતા. રાજ્ય સરકારે ક્યારથી નગરવિકાસ વિભાગના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંસદસભ્યને આપવાનો શિરસ્તો ચાલુ કર્યો છે? શું એટલા માટે કે તેઓ સંબંધિત વિભાગના પ્રધાનનો પુત્ર છે એટલે કે પછી સંસદસભ્ય છે એટલે? એવો સવાલ આદિત્ય ઠારરેએ કર્યો હતો.
તેમણે એવા પણ સવાલો કર્યા હતા કે વિદેશ મંત્રાલયે આ ટૂરને માન્યતા આપી હતી? તેમણે સંસદસભ્યોને પાલિકા વહીવટી અધિકારીઓના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાને મંજૂરી આપી છે? આ ટૂરનો ખર્ચ કોણે કર્યો હતો, મહારાષ્ટ્ર સરકારે કે પછી નેધરલેન્ડ્સ સરકારે?
શ્રીકાંત શિંદે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર છે અને તેઓ કલ્યાણ લોકસભા મતદારસંઘનું પ્રતિનિધિત્વ કરે છે.