ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના એન્ટિબાયોટિક નહીં આપવાનો નિર્દેશ
મુંબઈ: એન્ટીબાયોટિક દવા હવે પ્રિસ્ક્રાઈબ્ડ કરતા સમયે કારણ આપવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ખોટી રીતે અને વધારે પડતા થતા વપરાશ કરવા પર એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સના વધતા જતા પ્રમાણને જોતાં જનરલ ઓફ હેલ્થ સર્વિસીસે (ડીજીએચએસ) ઉક્ત નિર્દેશ આપ્યો છે. એન્ટીબાયોટિકના કાઉન્ટર પર થતા વેચાણને બંધ કરવાનું ડીજીએચએસની મેડિકલ કોલેજોના ડોક્ટરો, દેશની તમામ મેડિકલ અને ફાર્માસિસ્ટ એસોસિયેશનને કહેવામાં આવ્યું છે. એટલે જો કોઇ દવા લેવા આવે તો એને તેની મરજીથી આ દવા આપવામાં ન આવે. ક્વોલિફાઈડ ડોક્ટરે લખેલી પ્રિસ્ક્રિપ્શનના આધારે જ કોઇ પણ એન્ટીબાયોટિક દવા આપવામાં આવે.
આ ઉપરાંત એવું પણ સ્પષ્ટ કરવું જરૂરી છે કે એન્ટીબાયોટિક દવા શા માટે આપવામાં આવી રહી છે, એવું પણ જણાવવામાં આવ્યું છે. શરીરમાં કયા જીવાણુનો ચેપ લાગ્યો છે, જેને કારણે આ દવા આપવામાં આવી રહી છે.
વધારે પડતો ઉપયોગ નુકસાનકારક
એન્ટીબાયોટિકના વપરાશ અંગે એક નિષ્ણાતે જણાવ્યું હતું કે કેન્દ્રએ ઉઠાવેલું આ પગલું આવકારપાત્ર છે, કારણ કે એન્ટીબાયોટિકના વધારે પડતા ઉપયોગથી એન્ટી માઈક્રોબિયલ રેઝિસ્ટન્સ ની સમસ્યા ઊભી થાય છે. એક અહેવાલ અનુસાર બેક્ટેરિયલ એમએમઆરને કારણે વિશ્ર્વમાં ૧.૨૭ મિલિનય લોકોનાં મૃત્યુ સાથે સીધો સંબંધ છે.