નેશનલ

ઉજજૈન મહાકાલેશ્ર્વર મંદિરમાં પાંચ લાખ લાડુ તૈયાર કરાયા

અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં મોકલાશે

ઉજજૈન : અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીના રોજ યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ઉજજૈનના મહાકાલેશ્વર મંદિર તરફથી પાંચ લાખ લાડુ અયોધ્યા મોકલવામાં આવશે. દરેક લાડુનું વજન લગભગ ૫૦ ગ્રામ છે અને તમામ લાડુનું કુલ વજન ૨૫૦ ક્વિન્ટલ થશે, એવું તીર્થસ્થળના એક અધિકારીએ જણાવ્યું હતું.

મહાકાલેશ્ર્વર મંદિરના આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટર મૂળચંદ જાનવાલે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, અમે ચાર લાખ લાડુ પેક કર્યા છે. વધુ એક લાખ લાડુ પેક કરવામાં આવી રહ્યા છે. તેઓ શુક્રવારે ત્રણથી ચાર ટ્રકમાં લાડુ ભરીને અયોધ્યા જવા રવાના થશે.

જાનવાલે જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ઘોષણા કર્યાના પાંચ દિવસમાં મંદિરના ૧૫૦ કર્મચારીઓ અને સામાજિક સંસ્થાઓના લોકોએ લાડુ તૈયાર કર્યા હતા. લાડુ ૯૦૦ કિમી દૂર અયોધ્યામાં “બાબા મહાકાલ ના પ્રસાદ તરીકે મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે મહાકાલ મંદિર પરિસરમાં એક વિશેષ એકમ હતું જે લાડુ તૈયાર કરે છે.

૧૨ જાન્યુઆરીના રોજ ભોપાલમાં પત્રકારો સાથે વાત કરતા યાદવે કહ્યું હતું કે, “અમે ૨૨ જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે મહાકાલેશ્ર્વર મંદિરમાંથી પાંચ લાખ લાડુ અયોધ્યા મોકલવા જઈ રહ્યા છીએ. યાદવે કહ્યું હતું કે મુગલ સમ્રાટ બાબરે અયોધ્યામાં મંદિર તોડી પાડ્યું હતું. હવે જ્યારે તેનું પુન:નિર્માણ થઈ ગયું છે ત્યારે આ પ્રસંગની ઉજવણીમાં મધ્ય પ્રદેશ કેવી રીતે પાછળ રહી શકે તેવો સવાલ તેમણે કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button