કાઉન્સિલરને બંધક બનાવવા સામે કોંગ્રેસ પહોંચી હાઈ કોર્ટ, મધરાતે સુનાવણી હાથ ધરવામાં આવી….
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/01/Punjab-and-Haryana-high-court.webp)
ચંદીગઢ: ચંદીગઢ મેયરની ચૂંટણી પહેલા રાજકીય તાપમાન જોરદાર ગરમાયું છે. કોંગ્રેસના મેયરપદના ઉમેદવાર જસબીર સિંહ બંટીને ગેરકાયદેસર રીતે બંધક બનાવવાની ઘટનામાં હાઈ કોર્ટમાં મધરાતે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ઘટના કંઈક એવી રીતે બની કે કોંગ્રેસના મેયરપદના ઉમેદવાર કાઉન્સિલર જસબીર સિંહે અગાઉ ચંદીગઢના મેયર પદ માટે નોમિનેશન ભર્યું હતું. જો કે AAP સાથે ગઠબંધન કર્યા બાદ તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. અને આ બાબતની જાણ કેટલાક મોટા માથાઓને થતા તેમને એક હોટેલમાં બંધક બનાવીને રાખવામાં આવ્યા અને તેમને મોડી રાત સુધી બહાર નીકળવા દેવામાં આવ્યા નહોતા.
આ ઘટના બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરમોહિન્દર સિંહે પોલીસ દ્વારા જસબીર સિંહની ગેરકાયદે અટકાયત અંગે હાઈ કોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પોલીસ દ્વારા જસબીર સિંહને હોટલમાં ગેરકાયદેસર રીતે બંધક બનાવવામાં આવી રહ્યો છે અને તેને બહાર નહોતા આવવા દીધા.
ત્યારે આ ઘટના બાદ ચંદીગઠ હાઇ કોર્ટમાં જસ્ટિસ આલોક જૈને રાત્રે 1 વાગ્યે આ અરજી પર સુનાવણી હાથ ધરી હતી જેમાં ચંદીગઢ પ્રશાસનને નોટિસ પાઠવી છે અને ચંદીગઢના સરકારી વકીલને આ મામલાની તપાસ કરીને આજે એટલે કે 17 જાન્યુઆરીના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. જો આક્ષેપો સાચા જણાશે તો નિયત કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
જ્યારે કોંગ્રેસના કાર્યકરો આખી રાત જસબીર સિંહ બંટીના ઘરની બહાર ઉભા રહ્યા હતા. પોલીસ કર્મચારીઓએ તેમને બંટીના ઘરની અંદર જવા દીધા ન હતા. ચંદીગઢ યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મનોજ લુબાના અને અન્ય કાર્યકર્તાઓએ ત્યાંજ આખી રાત રાત વિતાવી હતી કાંગ્રેસના આ વરિષ્ઠ નેતાઓએ આરોપ લગાવ્યો કે પોલીસ ભાજપના દબાણમાં કામ કરી રહી છે.