Good news: મહારાષ્ટ્રના આ શહેરોમાં અકસ્માતે થતા મોતમાં થયો ઘટાડો
![Two people killed in two hit and run incidents in Rajkot](https://bombaysamachar.com/wp-content/uploads/2023/10/Road-Accidents.webp)
મુંબઈ: મહારાષ્ટ્રમાં માર્ગ અકસ્માતને નિયંત્રણમાં લાવવા માટે જિલ્લા માર્ગ સુરક્ષા સમિતિની સ્થાપના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા રાજ્યના રસ્તા પર વાહનોની સુરક્ષા માટે ઉપાય કરવામાં આવે છે. તાજેતરમાં સમિતિ દ્વારા રાજ્યમાં 2022-23માં થયેલા માર્ગ અકસ્માતની રિપોર્ટ જાહેર કરી હતી. આ રિપોર્ટમાં રાજ્યમાં રોડ એક્સિડન્ટમાં 1.5 ટકાનો ઘટાડો થયો હોવાની માહિતી આપવામાં આવી છે. તેમ જ મહારાષ્ટ્રના મુંબઈ, નવી મુંબઈ અને ચંદ્રપુર આ શહેરોમાં અકસ્માતમાં થતાં મોતની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો આવ્યો હોવાની માહિતી અધિકારીએ આપી હતી.
મુંબઈ અને ઉપનગરોમાં માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુમાં 23 ટકા, નવી મુંબઈમાં 17 ટકા અને ચંદ્રપુરમાં 19 ટકાનો ઘટાડો થયો હોવાની માહિતી આરટીઓ અધિકારીએ આપી હતી. તેમ જ જાન્યુઆરી 2024થી રોડ સુરક્ષા મહિનો ઉજવવામાં આવવાનો છે. આરટીઓ પ્રશાસનના અકસ્માત રોકવાના આ ઉપાયમાં સોમવારે એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના અનેક પ્રધાનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ટ્રાફિકના નિયમોનું પાલન કરશે એવી પ્રતિજ્ઞા પણ લીધી હતી.
રાજ્યના માર્ગ અકસ્માતમાં જખમી થયેલા લોકોની મદદ કરવા બદલ અનેક પોલીસ અને આરટીઓ અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વખતે રાજ્યમાં 2022 અને 23માં રોડ અકસ્માત અને તેમાં થયેલા મૃત્યુના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. આ આંકડા મુજબ વર્ષ 2022માં કુલ 33,383 માર્ગ અકસ્માત થયા હતા, જેમાં 15,224 લોકોના મોત થતાં હતા. તેમ જ 2023માં 34,114 અકસ્માતની નોંધ કરવામાં આવી હતી અને 15,009 લોકો મૃત્યુ પામ્યા હોવાની માહિતી રીપોટમાં જણાવવામાં આવી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ અને ઉપનગરોમાં વર્ષ 2022 કુલ 1,895 અકસ્માતમાં 371 લોકોના મોત થયા હતા અને 2023માં 1,473 અકસ્માતમાં 283 લોકોના મોત થયા હતા, આ બંને વર્ષના આંકડાની સરખામણી કરીએ તો મુંબઈ અને ઉપનગરોના અકસ્માત અને મૃત્યુમાં 23.70 ટકાનો ઘટાડો આવ્યો છે. આ સાથે નવી મુંબઈમાં 2023માં 755 અકસ્માતમાં 241 લોકોના મૃત્યુ થયા હતા, જે 2022ની સંખ્યા કરતાં 17.70 ટકા ઓછી છે.