નેશનલ

West Bengal: ગંગાસાગર જઈ રહેલા ત્રણ સાધુઓ પર ટોળાએ હુમલો, ભાજપે ટીએમસી પર આરોપ લગાવ્યો

પુરુલિયા: પશ્ચિમ બંગાળના પુરુલિયામાં ઉત્તર પ્રદેશના ત્રણ સાધુઓ સહે મારપીટની ઘટના બની હતી. અહેવાલો અનુસાર સ્થાનિક લોકોએ તેમને અપહરણકર્તા સમજી લીધા હતા, ત્યારબાદ એકઠા થયેલા લોકોના ટોળાએ સાધુઓ પર હુમલો કર્યો. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી, સાધુઓને ભીડથી બચાવીને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગઈ.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુરુવારે બની હતી જ્યારે ઉત્તર પ્રદેશના ત્રણ સાધુઓ,એક વ્યક્તિ અને તેના બે પુત્રો સાથે મકરસંક્રાંતિ પર સ્નાન કરવા માટે ગંગાસાગર જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ રસ્તો ભૂલી ગયા હતા, તેમણે રસ્તા પરથી પસાર થઇ રહેલી ત્રણ છોકરીઓને માર્ગ પૂછ્યો. સાધુઓને જોઈને ડરી ગયેલી છોકરીઓ ચીસો પાડતી ભાગી ગઈ. આ પછી સ્થાનિક લોકોએ સાધુઓને પકડીને માર મારવાનું શરૂ કર્યું. મામલો વધી જતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્રણેય સાધુઓને કાશીપુર પોલીસ સ્ટેશન લઈ આવી.


ઘટના અંગે માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સાધુઓ પર હુમલો કરનારા 12 શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ માટે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને પુરુલિયા જિલ્લાની રઘુનાથપુર સબ ડિવિઝનલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


પોલીસે જણાવ્યું હતું કે જ્યારે છોકરીઓ સાધુઓથી ડરીને ભાગી ગઈ ત્યારે સ્થાનિક લોકોને તેમના પર શંકા ગઈ, જેના કારણે ટોળાએ તેમના પર હુમલો કર્યો. બાદમાં પોલીસે સાધુઓને ગંગાસાગરના મેળામાં લઈ જવા માટે વાહનની વ્યવસ્થા કરી હતી.

આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટોળું સાધુઓના વાહનમાં તોડફોડ કરતું જોવા મળે છે. પુરુલિયાના બીજેપી સાંસદ જ્યોતિર્મય સિંહ મહતોએ આ હુમલાને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો હતો. બીજી તરફ, રાજ્યમાં સત્તામાં રહેલી ટીએમસીના પુરુલિયા જિલ્લા અધ્યક્ષે દાવો કર્યો છે કે આ ઘટના અફવાઓના કારણે બની છે.

દરમિયાન પશ્ચિમ બંગાળ ભાજપે આ ઘટનાની ટીકા કરતા રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર નિશાન સાધ્યું હતું. BJP IT સેલના વડા અમિત માલવિયાએ ટ્વિટર પર લખ્યું, પશ્ચિમ બંગાળના પુરુલિયામાં પાલઘર જેવી લિંચિંગની ઘટના બની છે. મકરસંક્રાંતિ માટે ગંગાસાગર જઈ રહેલા સાધુઓને શાસક ટીએમસી સાથે જોડાયેલા લોકોએ પકડીને માર માર્યો હતો. મમતા બેનર્જીના શાસનમાં સહજહાં શેખને સરકારી રક્ષણ મળી રહ્યું છે અને સાધુઓની હત્યા થઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં હિંદુ હોવું ગુનો બની ગયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button