તપસ્યા દરમિયાન તપસ્વીનો વધ બ્રહ્મહત્યા સમાન છે આનો દંડ તમને અવશ્ય મળશે
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/01/DH-8-3.jpg)
શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
માતા પાર્વતી: ‘ઉપમન્યુ હું તમને અક્ષય વરદાન આપું છું કે તું ચિરકુમાર રહી શીવ ભક્તિ અને જ્ઞાનના પ્રકાશથી સમગ્ર સંસારમાં શિવ આરાધનાનો પ્રચાર-પ્રસાર કરશો, પ્રભુ તમે ઉપમન્યુને એવું વરદાન આપો કે જે
અજોડ હોય.’
ભગવાન શિવ: ‘ઉપમન્યુ હું પણ તમને વરદાન આપું છું કે તમે યોગ વિદ્યામાં પારંગત થઈ અસંખ્ય શિષ્યોને યોગ વિદ્યા પ્રદાન કરશો. વેદો સહિત સમસ્ત બ્રહ્મવિદ્યા તમને સહજ પ્રાપ્ત થશે, જગતની કોઈપણ સમૃદ્ધિ ઇચ્છા માત્રથી તમારી સમક્ષ પ્રગટ થશે.
તારા: ‘દેવિકા મને માફ કરો, મારા પિતાના ધનમાં આળોટનારી હું અજ્ઞાની તમારી માફી માગું છું.’
સુશર્મા: ‘પુત્ર ઉપમન્યુ, તને મળેલા દુ:ખ માટે હું જવાબદાર છું, મને તારે કોઈ મહાન શિક્ષા આપવી જોઈએ જેથી સમાજમાં એક ઉદાહરણ પ્રસ્થાપિત થાય કે એક મામા અને મામીની એના ભાણેજ પ્રત્યે શી જવાબદારી હોય.’
ઉપમન્યુ: ‘નહીં મામા, આમાં તમારી કોઈ ભૂલ નથી, આ ભગવાન શિવની જ એક લીલા છે તેમણે મારી પરીક્ષા લેવાની હતી જેમાં હું ઉત્તીર્ણ થયો છું, તમે પોતાને દોષી ના માનો. મારી ભગવાન શિવને પ્રાર્થના છે કે આપને પણ એ સુખ સંપત્તિ પ્રાપ્ત થાઓ જેની તમને ઇચ્છા હોય.’
મળેલા વરદાન મુજબ ઉપમન્યુ એના મામા-મામી માટે કરેલી ઇચ્છા પૂર્ણ થાય છે અને સુશર્મા અને તારાના શરીર પર નવા વસ્ત્ર અને આભૂષણો આવી જાય છે.
તારા: ‘આપણે તો રાજા-રાણી બની ગયા.’
સુશર્મા: ‘આ આપણા ઉપમન્યુની વાણીનો પ્રભાવ છે, આપણે સંપત્તિવાન થઈ ગયા. બહેન દેવિકા તારા જેવી બહેન અને ઉપમન્યુ જેવો ભાણેજ મેળવીને હું પાવન થઈ ગયો.’
તારા: ‘બેટા ઉપમન્યુ ચાલો ઘરે આપણે સહુ સાથે જ રહીશું.’
ઉપમન્યુ: ‘નહીં મામી, ભગવાન શિવની આજ્ઞા મુજબ હું અને માતા આશ્રમ બનાવી વેદા અને યોગ શિક્ષાનો પ્રચાર – પ્રસાર કરીશું.’
ત્યારબાદ ઉપમન્યુ અને તેની માતા દેવિકા લોક કલ્યાણ માટે આશ્રમ બનાવી વેદો સહિત સમસ્ત બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરે છે અને થોડા જ સમયમાં યોગવિદ્યામાં પારંગત થઈ અસંખ્ય શિષ્યોને યોગવિદ્યા પ્રદાન કરે છે. જેના પરિણામ થકી આજે વિશ્ર્વભરમાં યોગવિદ્યા
પ્રચલિત છે.
બીજી તરફ બ્રહ્મગીરી પર્વત પર બ્રહ્મદેવની આરાધના કરતા ત્રીશરાની આરાધના ભંગ કરવા બે અપ્સરાઓને મોકલે છે. ઘણા દિવસો સુધી અપ્સરાઓ ત્રિશરા સમક્ષ નૃત્ય કરે છે, પણ ત્રિશરાની આરાધના ભંગ થતી નથી અને દિવસે ને દિવસે ત્રિશરાની આરાધના એક નવા સ્તરે જતી હોય છે, આથી અસ્વસ્થ થયેલા દેવરાજ ઇન્દ્ર બ્રહ્મગીરી પર્વત પહોંચે છે કે તેમની બંને અપ્સરાઓ નૃત્ય કરી કરીને બેભાન અવસ્થામાં પડી હોય છે. દેવરાજ ઇન્દ્ર ચેતન મંત્ર દ્વારા તેમને જાગ્રત કરે છે.
અપ્સરા: ‘દેવરાજ અમને ક્ષમા કરો, અમે દરેક સંભવિત પ્રયાસ કરી જોયા કે તેમની આરાધના તૂટે પણ અમે ત્રિશરાની આરાધના તોડી નથી શક્યા, ત્રિશરા અડગ છે તેમણે અમને જોયા સુદ્ધા નથી.’
દેવરાજ ઇન્દ્ર: ‘ત્રિશરા જો તમે તુરંત આંખ નહીં ખોલી તો તમે કંઈ પણ જોવા સક્ષમ નહીં રહો, આંખ ખોલો.’
દેવરાજ ઇન્દ્રની ચેતવણી ત્રિશરા સુધી પહોંચતી નથી અને દેવરાજ ઇન્દ્ર પોતાનું મગજનું સંતુલન ગુમાવી બેસે છે અને પોતાની તલવારથી ત્રિશરાનું મસ્તક ઉડાવી દે છે. પોતાની સમક્ષ થયેલા ત્રિશરાના વધથી દેવગુરુ બૃહસ્પતિ ક્રોધિત થઈ જાય છે.
દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ આ તમે શું કર્યું, ત્રિશરા બ્રહ્મદેવનો ભક્ત હતો, તપસ્યા દરમિયાન કોઈનો વધ કરવો તો ઘોર અપરાધ છે, આ કૃત્યથી ત્રિદેવ અવશ્ય કોપાયમાન થશે.’
દેવરાજ ઇન્દ્ર: ‘અમૃતના સેવન બાદ હું અમર થઈ ગયો છું, ત્રિદેવે જે કરવું હોય તે કરે, મને કોઈનો ભય નથી અને દેવતાઓની સુરક્ષા માટે મારે આ પગલું ભરવું અનિવાર્ય હતું.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ તમે અહંકારમાં ભૂલી ગયા છો કે આ સંસારમાં ત્રિદેવથી અધિક શક્તિશાળી કંઈ નથી. જો ત્રિદેવ કોપાયમાન થયા તો તમારું અમૃત કે તમારી શક્તિ તમને કોઈ બચાવી નહીં શકે. તમે તમારા સિંહાસન બચાવવાના ભાગરૂપે એક તપસ્વીનો વધ કર્યો છે અને તપસ્વીનો વધ બ્રહ્મહત્યા સમાન છે, આનો દંડ તમને અવશ્ય મળશે.’
ક્રોધિત દેવગુરુ બૃહસ્પતિની વાત સાંભળી દેવરાજ ઇન્દ્ર ભયભીત થઈ જાય છે.
દેવરાજ ઈન્દ્ર: ‘ગુરુદેવ મારાથી બહુ મોટી
ભૂલ થઈ છે, તમે જ અમારા દેવોના ગુરુ છો હવે તમે જ મને માર્ગદર્શન આપો કે મારે શું કરવું જોઈએ.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ તમારા આ કૃત્યને બ્રહ્મદેવ અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ માફ નહીં કરે, ફક્ત ભગવાન શિવ જ તમને માફ કરી શકે છે, તમારે તુરંત તેમની શરણમાં જવું જોઈએ.’
દેવગુરુ બૃહસ્પતિની વાતને શિરોમાન્ય ગણી દેવરાજ ઇન્દ્ર તેમની સાથે કૈલાસ તરફ પ્રયાણ કરે છે.
બ્રહ્મલોક ખાતે માતા સરસ્વતી: ‘હે સ્વામી તમારી શારીરિક સ્થિતિ ક્રોધિત દેખાઈ રહી છે. આ કંપન શેનું છે?’
બ્રહ્મદેવ: ‘દેવી દેવરાજ ઇન્દ્રએ તપસ્યા કરી રહેલા ત્રિશરાનો વધ કર્યો તેનું આ કંપન છે. તપસ્યા દરમિયાન વધ કરવો બ્રહ્મહત્યા સમાન છે, દેવરાજ ઇન્દ્રને શિક્ષા અવશ્ય મળશે. દેવગુરુ બૃહસ્પતિનું માર્ગદર્શન મેળવી દેવરાજ ઇન્દ્ર ભગવાન શિવની શરણમાં જઈ રહ્યા છે.’
વિષ્ણુલોક ખાતે માતા લક્ષ્મી: ‘હે સ્વામી આ કંપન શેનું થઇ રહ્યું હતું?’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ : ‘દેવી દેવરાજ ઇન્દ્રએ તપસ્યા કરી રહેલા ત્રિશરાનો વધ કર્યો તેનું આ કંપન છે. દેવગુરુ બૃહસ્પતિએ તેમને માર્ગદર્શન આપ્યું છે કે ત્રિશરાના વધથી ત્રિદેવ કોપાયમાન થશે અને તેથી દેવરાજ ઇન્દ્ર ભગવાન શિવની શરણમાં જઈ રહ્યા છે. (ક્રમશ:)