અપહરણ કરાયેલા જહાજમાંથી ક્રૂને બચાવ્યા બાદ હવે નૌકાદળ ચાંચિયાઓની શોધમાં
![Action-Oriented: Indian Navy warship patrols the Arabian Sea in pursuit of pirates who attempted to hijack a merchant vesse](https://bombaysamachar.com/wp-content/uploads/2024/01/Action-Oriented_-Indian-Navy-warship-patrols-the-Arabian-Sea-in-pursuit-of-pirates-who-attempted-to-hijack-a-merchant-vesse.webp)
નવી દિલ્હી: ભારતીય નૌકાદળની બહાદુરીના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. ઉત્તર અરબી સમુદ્રમાં અપહરણ કરાયેલા જહાજમાં ફસાયેલા તમામ 21 લોકોને બચાવ્યા બાદ હવે નેવી ચાંચિયાઓને શોધી રહી છે અને તેના માટે તે શંકાસ્પદ જહાજોની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે નેવીના માર્કોસ કમાન્ડોએ જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે જહાજમાં પાંચથી છ સશસ્ત્ર લોકો સવાર છે, જહાજની શોધખોળ કર્યા બાદ આઈએનએસ ચેન્નાઈએ અરબી સમુદ્રમાં સોમાલિયાના દરિયાકાંઠે અપહરણ કરાયેલા જહાજને ઘેરી લીધું અને ચાંચિયાઓને જહાજ છોડી દેવાની ચેતવણી આપી. જે બાદ ભારતીય નૌકાદળના માર્કોસ કમાન્ડોએ અપહરણ કરાયેલા જહાજ પર ઉતરીને અપહરણકર્તાઓની શોધખોળ કરી તો જાણવા મળ્યું કે ત્યાં કોઈ ચાંચિયા હાજર નથી.
જો કે નેવીનું કહેવું છે કે મોટી સંખ્યામાં સૈનિકોને જોઈને ચાંચિયાઓ અંધારાનો લાભ લઈને ક્યાંય ભાગી ગયા હશે. ભારતીય નૌકાદળ અત્યારે આ મામલે તપાસ કરી રહી છે. ચાંચિયાઓને શોધવા માટે સમુદ્રમાં યુદ્ધ જહાજો, દરિયાઈ પેટ્રોલિંગ એરક્રાફ્ટ P-8I અને હેલિકોપ્ટર સાથે લાંબા અંતરના પ્રિડેટર MQ9B ડ્રોન તહેનાત કર્યા છે.
હાલમાં ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ INS ચેન્નાઈ કાર્ગો જહાજ MV લીલા નોરફોક પાસે હાજર છે. જહાજને પાવર જનરેશન અને નેવિગેશન સિસ્ટમમાં પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યું છે જેથી તે આગામી બંદર પર તેની મુસાફરી શરૂ કરી શકે. અગાઉ ભારતીય નૌકાદળે એક વિડીયો શેર કર્યો હતો જેમાં જે ભારતીયો બચી ગયા હતા તે જણાવી રહ્યા હતા કે અમે છેલ્લા ઘણા સમયથી ડરના ઓઠા હેઠળ હતા પરંતુ ભારતીય નૌકાદળના આવ્યા બાદ એમ થયું કે હવે અમે સેફ છીએ. આ દરમિયાન એક વ્યક્તિએ કહ્યું હતું કે અમે ભારતીય નેવી પર ગર્વ અનુભવીએ છીએ. ત્યારબાદ બધાએ એકસાથે ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા.