તરોતાઝા

…. થેંક્યુ ડિયર ડૉકટરજી !

વ્યવસાય પ્રત્યે આગવી નિષ્ઠાનું બીજું નામ એટલે તબીબ

‘આરોગ્ય + પ્લસ ’ – ભરત ઘેલાણી

આપણને શિક્ષક પાસેથી એ જ્ઞાન મળ્યું છે કે અદ્રશ્ય એવા આપણા આરાધ્ય દેવ એકથી વધુ હોય શકે, પણ જગતમાં માત્ર ત્રણ દેવતા જ એવા છે,જેને આપણે નજરોનજર જોઈ શકીએ છીએ..

એમાંથી બે છે આપણાં જન્મદાતા માતા-પિતા અને ત્રીજા છે અધ્ધર આકાશ-અંતરિક્ષમાં સૂર્યદેવતા…

કોઈ કામ માટે ઘરની બહાર નીકળીએ તો પહેલાં માતા-પિતાને પગે લાગી-પ્રણામ કરીએ અને પછી ઘર બહાર પગ મૂકીને મોટાભાગના લોકો ગગન તરફ તાંકી-હાથ જોડી (કે પછી) ગરદન ઝુકાવી મનોમન સૂરજદેવતાના શુભાશિષ લેશે….

જાણે-અજાણ્યે મા-બાપે પણ નાનપણથી આપણામાં એક સંસ્કાર રોપી દીધાં છે કે મદદરૂપ થનારાનો આભાર માનવાનું કયારેય ચૂકવું નહીં અને આવા આભાર માનવાની પંક્તિ-હરોળમાં સૌપ્રથમ આવે છે આપણા ડોકટર -આપણા તબીબ..!

આર્થિક મૂંઝવણમાં ઝુકાવ ત્યારે સ્વજન કે મિત્ર વહારે-મદદે આવે, પણ જ્યારે શારીરિક કે માનસિક વિપદામાં અટવાઈ જાવ ત્યારે ત્વરાએ આપણો હાથ પહોંચી જાય છે મોબાઈલના કી- પેડ પર…. અને આ કોલ એવો હોય છે કે જેનો ભાગ્યે જ તમને ઉત્તર ન મળે. અરધી રાતે પણ સામે છેડેથી તમને હુંફાળો સ્વર સાંભળવા મળે, જેમાં તમારા માટે ચિંતા સાથે ભારોભાર લાગણી પણ છલકાતી હોય અને અચાનક તમારા કોલથી એ વ્યક્તિના અવાજમાં થોડી ચિંતા- વ્યગ્રતા પણ હોય…આવી લાગણી વ્યકત કરનારી વ્યક્તિ વ્યવસાયે તબીબ હોય, પણ પછી કાળક્રમે આપણા પરિવારની જ એક અંગત વ્યક્તિ બની જાય,જેને આપણે ‘ફેમિલી ડૉકટર’ કહીએ છીએ. આવો અનુભવ એકલદોકલ નથી હોતો. લગભગ આપણે બધાએ આ અનુભવ્યું છે.

આવી વ્યક્તિ વ્યવસાયિક રીતે તબીબી જ્ઞાનમાં અવ્વલ હોવા ઉપરાંત આપણાં પરિવાર સાથે એવી હળીભળી જાય છે કે આપણી તબિયતની તાસીર ઉપરાંત ઘરના બધાના મિજાજ પણ અદ્દલોદલ જાણતી હોય છે. એ શારીરિકની સાથોસાથ આપણી મનદુરસ્તીનું પણ રખોપું કરે છે. સમય જતા આવા તબીબ ઘરના વડીલ પણ બની જાય. ઘરસંસારના પ્રશ્ર્નો વખતે પણ એમનું ડાયાગ્નોસિસ-નિદાન અને નિરાકરણ પણ ઘર-પરિવાર માટે અકસીર નીવડે. આમ નજર સમક્ષ હાજરાહજુર સૂર્ય પછી માતા-પિતા ઉપરાંત ધરતી પણ હાજરાહજૂર દેવ કહો તો એ તમારા તબીબ છે.. !

બીજી તરફ, આપણાં બ્રહ્મ પુરાણ અનુસાર સમુદ્રમંથન વખતે અમૃત કળશ સાથે ભગવાન વિષ્ણુના અવતાર સમા ધન્વંતરિ દેવનું પ્રાગટય થયું હતું. સમુદ્રમંથન વેળાએ અનેક ઔષધિઓ ઉત્પન્ન થઈ હતી. એ પછી અમૃતનું સર્જન થયું. ત્યારથી ધન્વંતરિ આપણા પ્રાચીન આયુર્વેદના જન્મદાતા ગણાય છે. એમની ગણના દેવલોકના વૈદ્ય તરીકે થતી. પ્રાચીન શસ્ત્રો અનુસાર ધન્વંતરિ વૈદ્યે જગતભરની હજારો વનસ્પતિઓનું અધ્યયન- પૃથક્કરણ કરીને એના પ્રભાવ – ગુણ તેમજ એની આડ-અસર પર અનેક ગ્રંથ તૈયાર કર્યા હતા,જેના આધારે કાળક્રમે આપણા આયુર્વેદના સિદ્ધાંતોનો ગ્રંથ બન્યો, જેમાંથી જ્ઞાન મેળવી પ્રથમ સુશ્રુત મુનિ અને પાછળથી ચરક જેવા વૈદ્યએ આયુર્વેદ ચિકિત્સાની પરંપરા આગળ વધારી પૌરાણિક ગ્રંથો અનુસાર ધન્વંતરિનો ‘જન્મ’ ઈશુ ખ્રિસ્તના ૭ હજાર વર્ષ પૂર્વે ધનતેરસના દિવસે થયો હતો. એમના આયુર્વેદ જ્ઞાન અનુસાર માનવ મૃત્યુના ૧૦૦ પ્રકાર છે, જેમાંથી એક સમય વીતતાની સાથે થતું ‘કાળ મૃત્યુ’ છે.બાકીના ૯૯ અકાળ મૃત્યુ આયુર્વેદના સચોટ નિદાન તથા ચિકિત્સા-સારવારથી અટકાવી શકાય-રોકી શકાય…!

(એક આડ-વિચાર: ધન્વંતરિ-સુશ્રત-ચરક જેવાં વૈદ્યાચાર્યોના જીવનકાળ એવા તો રસપ્રદ છે કે એમનાં પર બાયોપિક- વેબ સિરીઝ સરજી શકાય..!)

થોડા સમય પહેલાં વિશ્ર્વવ્યાપી એક સર્વેક્ષણ થયું હતું: ‘કયો વ્યવસાય સૌથી વધુ ઝિીતિં ઠજ્ઞિવિું એટલે કે વિશ્ર્વાસપાત્ર છે? ’

વિશ્ર્વના અનેકવિધ ક્ષેત્રોના તલસ્પર્શી સર્વેના તારણ અનુસાર ૬૪% લોકો માને છે કે તબીબ – ડૉકટરનું પ્રોફેસન-વ્યવસાય સૌથી વધુ વિશ્ર્વાસપાત્ર છે. એના પછી ૬૧% લોકોને વિજ્ઞાનીઓ પર અને ૫૫% લોકોને શિક્ષક પર વધુ ભરોસો છે અને હા, કાગડા બધે કાળાની જેમ ૧૦% થી પણ ઓછા લોકોને મંત્રી-રાજકારણી-નેતા પર માંડ માંડ વિશ્ર્વાસ બેસે છે (અને આવો ‘વિશ્ર્વાસ’ બેસવાના અનેક કારણ પણ હોઈ શકે !)
આ સર્વે એમ પણ કહે છે કે રીત-ભાત- શિસ્તની બડી ચુસ્ત આગ્રહી એવી બ્રિટિશ પ્રજાને ડૉકટર ૭૩% વિશ્ર્વાસુ લાગે છે. એ જ રીતે, ડચ તથા કેનેડાના લોકોને તબીબ પર ૭૧% ભરોસો બેસે છે.

થોડી અંગત વાત કરું તો મેં લાંબો સમય મેડિકલ સ્ટોરમાં કામ કર્યું- મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે પણ કામગીરી બજાવી અને ખુદ ત્રણેક વાર અતિ જટિલ ઑપરેશનની પ્રક્રિયામાંથી પસાર થયો છું અને વ્યવસાયે વર્ષોથી પત્રકાર હોવાને લીધે એ દરમિયાન, અનેક તબીબો- નિષ્ણાતોના ઘનિષ્ટ પરિચયમાં આવ્યો છું. જીવન – મૃત્યુની કટોકટી વેળા ડૉકટર કેવા દબાણ હેઠળ નિર્ણય લેતા હોય છે એવી એમની કામગીરી મેં બહુ નજીકથી નિહાળી છે.એમના એક નિર્ણયથી કોઈની જિંદગી ફરી આબાદ બની જતી હોય તેમ કોઈ પરિવારનાં સપનાં પણ રગદોળાય જતાં લહોય છે…..એ વખતે સૌથી વધુ મદદરૂપ થઈ હિંમતના ઑકિસજનનો પુરવઠો પૂરો પાડે છે આપણા ડોકટર-તબીબ.

બીજી તરફ, આપણને તબીબોની મીઠી ઈર્ષા પણ આવે.એ લોકો પણ કેવા ભાગ્યશાળી હોય છે કે એમને એક દિવસમાં જેટલાં સારાં કાર્ય કરવાની તક મળે છે તેટલી તક તો કોઈ કર્ણ જેવા દાનવીરને પણ બે-ત્રણ મહિને નથી મળતી….!

છેલ્લાં ત્રણેક વર્ષમાં કોવિડ-કોરોનાની મહામારીએ જગતભરમાં તબાહી મચાવી. દુશ્મનના
આક્રમણ સામે દેશના સીમાડાની રક્ષા કરવા આપણા સૈન્યના જવાનો જે રીતે શહીદી વહોરે એ જ રીતે આપણા સફાઈ કામદારથી લઈને નર્સ અને ડોકટરોએ મોત સામે બાથ ભીડીને આપણી રક્ષા જે રીતે કરી હતી એની અપૂર્વ ગાથાના આપણે સૌ સાક્ષી છીએ. એ દ્રષ્ટિએ દેવી -દેવતાના જીવનરક્ષક એવા વૈદ્યોના સાચુકલા દેવદૂત છે આપણા આ તબીબ…!

આમ તો ૩૦ માર્ચના રોજ વિશ્ર્વભરમાં ‘ડૉકટર્સ ડે’ની ઉજવણી થાય છે,પણ આપણે ત્યાં પશ્ર્ચિમ બંગાળના સૌપ્રથમ મુખ્ય મંત્રી ડૉકટર બિધાનચન્દ્ર રાય, જેવા પ્રખર ચિકિત્સકને એમની સ્મૃતિરૂપે દર ૧ જુલાઈના યાદ કરીએ છીએ.

જો કે આવા અનન્ય આદમીને માત્ર વર્ષના વચલે દિવસે યાદ કરવાથી આપણે એનું ઋણ ફેડી નથી શકતા. એમને તો મનોમન આપણે રોજ કહેવું જોઈએ : ‘થેંક્યુ… ડોકટરજી!’

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત