જાપાનમાં એક પછી એક ભૂકંપના 21 આંચકા, 34,000 ઘરમાં અંધારપટ, હવે સુનામીનું જોખમ…
ટોકિયોઃ નવા વર્ષના પહેલા જ દિવસે જાપાનના લોકોને કુદરતી આફતોનો સામનો કરવો પડ્યો છે. સોમવારે 90 મિનિટની અંદર જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. એ પછી પણ અલગ અલગ પ્રકારની તીવ્રતા સાથે જાપાનમાં એક પછી એક ભૂકંપના 21 આંચકા આવ્યા હતા.
સમુદ્રમાં ઉંચી લહેરો ઉઠ્યા બાદ કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જાપાનના હવામાન વિભાગે ઇશિકાવા પ્રાંતના નોટો શહેરમાં એક મોટી સુનામીની ચેતવણી જાહેર કરી છે. લગભગ 34000 ઘરોમાં વીજસેવા ઠપ્પ થઇ ગઇ છે.
મધ્ય જાપાનમાં અનેર રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. ભૂકંપના આંચકાને પગલે રસ્તા પર તિરાડો પડી ગઇ હતી. ફુકુઇ પ્રાંતમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે. જાપાનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંતના લોકો પર સુનામીનું જોખમ તોળાઇ રહ્યું છે.
જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદાએ જણાવ્યું હતું કે ભૂકંપથી થયેલા નુકસાનનું આકલન થઇ રહ્યું છે. નાગરિકોએ કુદરતી આપત્તિનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવવામાં આવી રહ્યું છે. જાપાન સ્થિત ભારતીય દૂતાવાસે ઇમરજન્સી કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યો છે. તેમજ કેટલાક નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે જેના પર ભારતીય નાગરિકો સંપર્ક કરી શકશે.
જાપાનના ઇશિકાવા પ્રાંતમાં રેલવે સેવા ઠપ્પ થઇ ગઇ છે.
ટેલિકોમ ઓપરેટર્સે ઇશિકાવા અને નિગાટામાં ફોન તથા ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દીધી છે. જાપાનની સરકારી એજન્સીઓ દ્વારા સુજુ શહેરમાં ઇમારત ધસી પડી હોવાની ઘટનાની જાણ કરવામાં આવી છે. રાજધાની ટોક્યોિમાં પણ ઇમારતો હલી ગઇ હતી. જાપાનીઝ એરલાઇન્સ દ્વારા ટોયોમા અને ઇશિકાવા જતી ફ્લાઇટ્સ અધવચ્ચે જ રોકી દેવાઇ હતી. તેમજ નિગાટા અને ઇશિકાવા જતી ફ્લાઇટ્સ પણ રદ કરી દેવામાં આવી છે.
જો કે જાપાનના ફુકુઇ પ્રાંતમાં પરમાણુ પાવર પ્લાન્ટને હજુસુધી કોઇ નુકસાન થયું હોવાના સમાચાર નથી, જેમાં કંસાઇ ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ અને તાકાહામા ન્યુક્લિયર પાવર પ્લાન્ટના પાંચ રિએક્ટર સામેલ છે. ઇશિકાવાના હોકુરિકુ સ્થિત પાવર પ્લાન્ટને ભૂકંપની ચેતવણી આવી તે સમયે જ બંને રિએક્ટરોને બંધ કરી દીધા હતા. આથી તેના પર ભૂકંપનો કોઇ પ્રભાવ પડ્યો નથી.