ગણતંત્ર દિવસની પરેડમાં કઇ રીતે થાય છે ઝાંકીની પસંદગી? જાણો શું હોય છે પ્રક્રિયા
![How is the tableau chosen in the Republic Day parade? Know what the process is](https://bombaysamachar.com/wp-content/uploads/2023/12/DTB-2023-12-31T144308.640.jpg)
નવી દિલ્હી: 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ નિમિત્તે રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર દર વર્ષે અલગ અલગ રાજ્યોના ટેબ્લો નીકળે છે. આ ટેબ્લો ગણતંત્ર દિવસ દરમિયાન થનારી પરેડમાં સામેલ થાય છે અને જે-તે રાજ્યની સંસ્કૃતિ તથા નક્કી કરેલી થીમ પ્રમાણે તેની રજૂઆત થાય છે. આ વર્ષના એટલે કે વર્ષ 2024ના ગણતંત્ર દિવસના સમારોહમાં પંજાબ તથા દિલ્હીના ટેબ્લો (ઝાંકી) ને સામેલ કરવા અંગે ભેદભાવ થયાનો પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને આરોપ લગાવ્યો છે.
પંજાબના સીએમ ભગવંત માને જણાવ્યું હતું કે પંજાબ અને દિલ્હીની ઝાંકીનો આ વખતે સમાવેશ કરવામાં આવ્યો નથી. જો કે સંરક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે પંજાબ તથા દિલ્હીએ કેન્દ્ર સરકાર સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જે મુજબ 26 જાન્યુઆરી 2024થી શરૂ થતા 3 વર્ષોમાં યોજાનારી પરેડમાં દિલ્હી તથા પંજાબ રાજ્યની ઝાંકી દર્શાવવા મુદ્દે સહમતિ વ્યક્ત કરી છે. સૂત્રોએ એ પણ જણાવ્યું હતું કે આ વર્ષે ઝાંકીના પ્રદર્શન માટે પંજાબ રાજ્યની પસંદગી ન થવી એ આરોપો પાયાવિહોણા છે.
સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન પંજાબની ઝાંકીને પશ્ચિમ બંગાળની ઝાંકીને શોર્ટ લિસ્ટ કરવામાં આવી હતી.
રક્ષા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેનારા ટેબ્લોની પસંદગી એક ખાસ પ્રક્રિયા મુજબ થાય છે. જેમાં અલગ અલગ પ્રકારના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા મોકલવામાં આવેલી ઝાંકીઓને જોઇને વિશેષજ્ઞ સમિતિની બેઠક યોજાય છે, એ બેઠક બાદ ઝાંકીઓને પરેડમાં સામેલ કરવા અંગે નિર્ણય લેવામાં આવે છે. એ પછી રક્ષા મંત્રાલય તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રાલયો-વિભાગો પાસેથી ઝાંકી માટે પ્રસ્તાવ મુકે છે.
પરેડની પસંદગી કરનારી એક્સપર્ટ કમિટીમાં કલા, સંસ્કૃતિ, ચિત્રકલા, મૂર્તિકલા, સંગીત, વાસ્તુકલાના ક્ષેત્રોમાં કામ કરી ચુકેલા વિશેષજ્ઞોનો સમાવેશ કરવામાં આવે છે, જે ઝાંકીઓને પરેડમાં સામેલ કરતા પહેલા તેના વિષય, ડિઝાઇન, કોન્સેપ્ટ, અને તેના પ્રભાવનું આકલન કરે છે.
આ વર્ષે પરેડમાં લિમિટ સ્લોટ વિશે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષે પરેડમાં ઝાંકી બતાવવા માટે ઇચ્છુક 30 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ફક્ત 15 થી 16ની જ પસંદગી કરવામાં આવશે. ગણતંત્ર દિવસની પરેડમાં છેલ્લા 8 વર્ષોમાં પંજાબને 6 વાર સામેલ કરવામાં આવ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળની ઝાંકીને 5 વાર શોર્ટ લિસ્ટ કરવામાં આવી છે.
જો કે હવે કેન્દ્ર સરકાર એક નિયમ લાવી રહી છે, જે મુજબ એક 3 વર્ષીય કાર્યક્રમ વિકસિત કરવામાં આવશે, જેમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સામેલ કરવામાં આવશે, ઉપરાંત જે રાજ્યની ઝાંકીની પેનલ દ્વારા પસંદગી ન થાય, તે રાજ્યોને 23થી 31 જાન્યુઆરી દરમિયાન લાલ કિલ્લા પર ભારત પર્વમાં પોતાની ઝાંકી પ્રદર્શિત કરવા માટે આમંત્રણ કરવામાં આવશે.