ઉત્સવ

કે.પી.એસ. ગીલે કઈ રીતે પંજાબને આતંકવાદથી મુક્ત કર્યું હતું!

આ બાહોશ અને નીડર પોલીસવડા માનતા હતા કે આતંકવાદીઓ સાથે લટૂડાપટૂડા નહીં ચાલે. એમને ઠોકવા જ પડે… અને એ ખરા અર્થમાં એમણે કરી બતાવ્યું. સખ્યાબંધ ‘એન્કાઉન્ટર’ કરીને ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવી દીધો…!

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

લગભગ દરેક લોકસભાની ચૂંટણી પહેલા શીખ હત્યાકાંડના ઘા તાજા થાય છે. છેલ્લી લોકસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસના નેતા સામ પિત્રોડાએ ભાંગરો વાટ્યો હતો. ચાલુ ચૂંટણીએ એમણે ૧૯૮૪માં થયેલી શીખોની કત્લેઆમ વિશે જે બકવાસ કર્યો એનાથી કૉંગ્રેસના તમામ સિનિયર નેતાઓ ડઘાઈ ગયા હતા. ઇંદિરા ગાંધીની હત્યા પછી ૧૯૮૪માં દિલ્હી સહિત દેશભરમાં ૪૦૦૦થી વધુ નિર્દોષ શીખ પુરુષો-સ્ત્રીઓ- બાળકોને નિર્દયતાથી રહેંસી નાખવામાં આવ્યા હતા. આ વિશે એક પત્રકારે સામ પિત્રોડાને સવાલ પૂછયો ત્યારે પિત્રોડાએ છણકો કરતા કહેલું: ‘જો હુઆ સો હુઆ’!
પત્યું… એ પછી દેશભરમાંથી પિત્રોડા પર માછલાં ધોવાયા ને લૂઝ બોલે સિક્સર ફટકારવામાં નિષ્ણાત એવા નરેન્દ્ર મોદીએ મનમા આનંદ છુપાવી પિત્રોડાના બફાટનો પૂરો ફાયદો ઉઠાવ્યો.
રાજકારણને બાજુ પર રાખીને વિચારીએ તો પિત્રોડાના નિવેદને ઘણા જૂના ઘા તાજા કર્યા હતા. ૯૦ના દાયકામા જન્મેલી યુવા પેઢીને તો કદાચ ખ્યાલ નહીં હોય કે ૮૦ના દાયકામાં પાકિસ્તાનની નિચતાને કારણે કઈ રીતે પંજાબ ભડકે બળ્યું હતું.

ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે પાકિસ્તાનથી પહેરેલા કપડે ભારત આવી જાત મહેનતથી સમૃદ્ધ થયેલા શીખો, પંજાબ અને હરિયાણા ઉપરાંત વિશ્ર્વ આખામાં ‘સાહસિક’ તરીકે જાણીતા થયા હતા. હરિયાળી ક્રાંતિનો પૂરો લાભ લઈ શીખ ખેડૂતોએ સારી એવી આર્થિક સમૃદ્ધિ મેળવી હતી. ડંખીલા પાકિસ્તાનના પૂર્વ આયોજન પ્રમાણે શીખ અને હિન્દુઓ વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવા માટે જર્નેલસિંહ ભિંદરાનવાલે નામના એક સામાન્ય ધાર્મિક ઉપદેશકને પાકિસ્તાનની સરકારેની જાસૂસી સંસ્થા ‘આઇએસઆઇ’ એ પાનો ચઢાવ્યો. પંજાબ રાજ્યના વિવિધ રાજકીય સમિકરણોને કારણે ભિંદરાનવાલેને ફાવતું મળી ગયું અને ૮૦ના દાયકાની શરૂઆતથી પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદની શઋઆત થઈ. પંજાબ બોર્ડર રાજ્ય હોવાથી પાકિસ્તાનની ‘આઇએસઆઇ’ મારફતે અઢળક હથિયારો પંજાબમાં ઠલવાયા. દરોજ સેંકડો નિર્દોષ હિન્દુઓની હત્યા થતી. એટલું જ નહીં, ભિંદરાનવાલેને સાથ નહીં આપનારા શીખોને પણ છોડવામાં આવતા નહીં. ૧૯૮૩માં ધરપકડથી બચવા માટે ભિંડરણવાલે અને એની ટોળકીએ અમૃતસરના સુર્વણ મંદિરમાં ધામો નાંખ્યો. સેંકડો શીખ આતંકવાદીઓ ગોલ્ડન ટેમ્પલના વિશાળ પરિસરમાં સંતાઇ ગયા. મંદિરમાં રહીને એમણે પંજાબ અને પંજાબની બહાર હત્યાઓ કરાવી. શીખોના જ એક સંપ્રદાય નિરંકારીઓને પણ ખાસ ટાર્ગેટ કરવામાં આવ્યા. સરકારી અધિકારીઓ, પોલીસ તેમજ બીજા સંપ્રદાયના લોકોની ગમે ત્યારે હત્યા થઈ જતી. સૂર્યાસ્ત પછી પંજાબની સડકો પર ભાગ્યે જ કોઈ નીકળતું. દેશભરના લોકોમાં ખૂબ ગુસ્સો હતો. આતંકવાદીઓ પવિત્ર ધાર્મિક સ્થળમાં છૂપાયા હોવાથી સરકાર કોઈ તાત્કાલીક પગલા લેવા માંગતી નહોતી. એ વખતે વડાં પ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી હતાં. પાકિસ્તાનથી તાલીમ પામેલા શીખ આતંકવાદીઓનો પ્રભાવ વધતો જ જતો હતો. કેટલાક ગેરમાર્ગે દોરાયેલા વિદેશી શીખોએ પણ ભિંડરણવાલેને ટેકો જાહેર કર્યો હતો. બહુમતિ શીખો જો કે ખાલીસ્તાનીઓની વિરૂદ્ધમાં હતા, છતા પણ ડરના માર્યા કોઈ બોલી શકતું નહોતું. ભિંડરણવાલે સાથે વાતચીતના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. એમને તો ફક્ત અલગ ખાલિસ્તાન જ જોઇતું હતું. ખાલિસ્તાનના આતંકવાદી સાથે જોડાનારા મોટા ભાગના આતંકવાદીઓ ભૂતકાળમાં રીઢા ગુનેગાર રહી ચૂક્યા હતા. તેમ જ બેંક લૂંટ, ખંડણીખોરી તેમ જ હત્યા જેવા ગુનાઓ કરી ચૂક્યા હતા. પંજાબ રાજ્યમાંથી પસાર થતી બસ અને ટ્રેનમાં મૂસાફરી કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી. ઇન્દિરા ગાંધી પર આતંકવાદને નાથવાનું દબાણ વધી રહ્યું હતું.

છેવટે-ના છૂટકે, ઇન્દિરા ગાંધીએ આતંકવાદીઓને મારવા અથવા તો પકડવા માટે સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલવાનું નક્કી કર્યું. રશિયાની જાસૂસી સંસ્થા ‘કેજીબી’એ ભારતની જાસૂસી સંસ્થા ‘રો’ને ચેતવણી આપી હતી કે પંજાબને ભારતથી અલગ કરવાની યોજના ‘આઇએસઆઇ’એ બનાવી લીધી છે. પાકિસ્તાનના હજારો કમાન્ડો ભિંદરાનવાલેને મદદ કરવા પંજાબ રસ્તે ભારતમાં ઘૂસણખોરી કરશે. ૧૯૮૪ના જૂન મહિનાની ૧લી તારીખે ઇન્દિરા ગાંધીએ લશ્કરને મંદિરમાં પ્રવેશવાની છૂટ આપી અને એને ‘ઓપરેશન બ્લુ સ્ટાર’ નામ આપવામાં આવ્યું. ૩જી જૂને લશ્કરની વિવિધ ટૂકડીઓએ સુવર્ણ મંદિરને ઘેરી લીધું. પહેલાં તો આતંકવાદીઓને શરણે થવાની ચેતવણી આપવામાં આવી. આ ઉપરાંત દર્શન માટે આવેલા યાત્રીઓને બહાર મોકલી આપવા માટે પણ આતંકવાદીઓને કહેવામાં આવ્યું. આમ છતાં, પાંચમી જૂનની સાંજ સુધી આતંકવાદીઓએ સૂચનાનો અમલ કર્યો નહીં પછી પાંચમી જૂનની રાતથી ‘ઓપરેશન બ્લુ સ્ટાર’ યોજના મુજબ સૈન્યના જવાનો મંદિરમાં લપાઈને બેઠેલા આતંકવાદીઓ પર ત્રાટક્યા ને આઠમી જૂન સુધીમાં તો ભિંડરણવાલે સહિત મોટા ભાગના આતંકવાદીઓનો સફાયો કરી નાખવામાં આવ્યો….

આતંકવાદીઓ પાસેથી ચાઇનીઝ બનાવટના રોકેટ લોન્ચર ઉપરાંત ઘણાં બધાં આધુનિક શસ્ત્રો પણ મળ્યાં. દેશ આખામાં હોહા થઈ ગઈ. બહુમતી શીખોને લાગ્યું કે સરકારે મંદિરમાં લશ્કરને મોકલવાને બદલે બીજા કોઈ માર્ગે આતંકવાદીઓ સાથે પનારો પાડવાની જરૂર હતી. વિશ્ર્વ આખામાંથી ઘણી શીખ સંસ્થાઓએ પણ સરકારનાં પગલાંની ટીકા કરી.૧૯૮૪માં ૩૧ઓક્ટોબરે ઇન્દિરા ગાંધીના જ બે શીખ બોડીગાર્ડોએ ગાંધીની હત્યા કરી નાખી ત્યાર પછી જે ઘટનાઓ બની એ દેશના ઇતિહાસમાં કાળા અધ્યાય સમાન હતી… નિર્દોષ શીખોને ઘરમાંથી ખેંચી ખેંચીને મારવામાં આવ્યા, જે માટે શીખ સમુદાએ કોંગ્રેસને સંપૂર્ણપણે જવાબદાર ગણી.

ઓપરેશન ‘બ્લુ સ્ટાર’ પછી પણ પંજાબમાં શીખ આતંકવાદનો અંત આવ્યો નહોતો. ઇન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા. રાજીવ ગાંધીએ પંજાબમાં શાંતિ સ્થાપવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ સફળતા મળતી નહોતી. પાકિસ્તાન તરફથી પણ અવળચંડાઇ ચાલુ જ હતી.

પંજાબમાં આતંકવાદનો કોઈ અંત દેખાતો ન હતો. ૧૯૮૭થી ૧૯૯૧ સુધી પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું. છેવટે ૧૯૯૨માં ચૂંટણી થઈ અને ચૂંટાયેલી કૉંગ્રેસ સરકારે જાંબાઝ પોલીસ અધિકારી કે.પી.એસ. ગીલને સંપૂર્ણ સત્તા સોંપીને કોઈ પણ રીતે પંજાબમાંથી આતંકવાદ નાબૂદ કરવા કહ્યું.

કે.પી.એસ. ગીલ ખૂબ જ કડક અને બાહોશ પોલીસ અધિકારી હતા. એમણે આતંકવાદનો ઉંડો અભ્યાસ કર્યો હતો. એ માનતા હતા કે આતંકવાદીઓ સાથે લટૂડાપટૂડા નહીં ચાલે. એમને ઠોકવા જ પડે. ગીલે પંજાબના પોલીસોને છૂટો દોર આપ્યો. આતંકવાદીને જોતા જ પહેલા એને ઠાર મારવાની સૂચના એમણે આપી. એમના શાસન દરમિયાન પંજાબમાં સેંકડો એન્કાઉન્ટર થયા. માનવ અધિકારવાદીઓએ ચીસાચીસ કરી મૂકી, પરંતુ ગીલ અડીખમ જ રહ્યાં. પોલીસ-આતંકવાદીઓની અથડામણમાં કૂટાઇ ગયેલા નિર્દોષોને તેઓ ‘કોલેટરલ ડેમેજ’ (એટલે કે સૂકા ભેગુ લીલુ બળે) ગણાવતા હતા. પંજાબમાંથી આતંકવાદને સંપૂર્ણ નાબુદ કરવા માટે એમણે ‘ઓપરેશન બ્લેક હન્ટ’ લોન્ચ કર્યું અને ગોલ્ડન ટેમ્પલમાં રહી ગયેલા આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો. એમના જાન પર મોટું જોખમ હતું, છતા પણ ડર્યા વગર એમણે પંજાબને આતંકવાદ મુક્ત કર્યું.

બીજી તરફ્ દેશ-વિદેશના કેટલાંક ચાંપલા અંગ્રેજી અખબારો તેમજ સેક્યુલરવાદીઓ -સામ્યવાદીઓ ગીલની આકરી ટીકા કરતાં. આમ છતાં સુપરકોપ ગીલે બેફિકરાઈથી એમનું કાર્ય કર્યે રાખ્યું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?