નેશનલ

રામ મંદિરના કાર્યક્રમ માટે ૩૦૦ મેટ્રિક ટન સુગંધિત ચોખા મોકલવામાં આવ્યા

રાયપુર: અયોધ્યામાં રામ મંદિરના ૨૨ જાન્યુઆરીએ થનારા અભિષેક સમારોહ માટે શનિવારે કુલ ૩૦૦ મેટ્રિક ટન સુગંધિત ચોખા છત્તીસગઢથી રવાના કરવામાં આવ્યા હતા.
સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાઈએ અહીં વીઆઈપી રોડ પર શ્રી રામ મંદિર ખાતે આયોજિત એક સમારોહ દરમિયાન ભગવો ધ્વજ લહેરાવીને ચોખાના માલસામાનની ૧૧ ટ્રકને રવાના કરી હતી.

છત્તીસગઢ પ્રદેશ રાઇસ મિલર્સ એસોસિએશન દ્વારા ‘સુગંધિત ચાવલ અર્પણ સમારોહ’ શીર્ષક ધરાવતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમણે “અયોધ્યામાં શ્રી રામ મંદિરના અભિષેક સમારોહમાં પ્રસાદ તરીકે આ ચોખાનો ઉપયોગ કરવાની ઓફર કરી હતી.

ફ્લેગઓફ દરમિયાન રાજ્ય પ્રધાન બ્રિજમોહન અગ્રવાલ, શ્યામ બિહારી જયસ્વાલ, દયાલદાસ બઘેલ અને લક્ષ્મી રાજવાડે, બીજેપી સાંસદ સુનીલ સોની અને એસોસિએશનના પદાધિકારીઓ પણ હાજર હતા.

આ પ્રસંગે, મુખ્ય પ્રધાન અને તેમના પ્રધાનમંડળના સાથીઓએ મંદિરમાં પ્રાર્થના કરી હતી અને રાજ્યનાં સુખ અને સમૃદ્ધિની કામના કરી હતી.

છત્તીસગઢને ભગવાન રામનું ‘નાનિહાલ’ ગણવામાં આવે છે. રાજધાની રાયપુરથી આશરે ૨૭ કિમી દૂર સ્થિત ગામ ચાંદખુરીને ભગવાન રામની માતા કૌશલ્યાનું જન્મસ્થળ માનવામાં આવે છે.
વિદ્વાનોનાં સંશોધન અનુસાર, ભગવાન રામ અયોધ્યામાંથી તેમના ૧૪ વર્ષના વનવાસ દરમિયાન વર્તમાન છત્તીસગઢમાં અનેક જગ્યાએથી પસાર થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button