Save environment: જૂનાગઢના તંત્રનો આ પ્રયોગ તમામે અનુસરવા જેવો
![Save environment: This experiment of Junagadh system should be followed by all](https://bombaysamachar.com/wp-content/uploads/2023/12/Jignesh-J-Pathak-2023-12-30T180718.264.jpg)
જૂનાગઢઃ એક તરફ આપણે ધર્મ અને પવિત્રતાની વાત કરીએ છીએ અને બીજી તરફ જ્યાં શ્રદ્ધા અને ભક્તિથી જઈએ છીએ ત્યાં જ ગંદવાડ કરીએ છીએ અને પ્લાસ્ટિકથી માંડી તમામ વસ્તુના કચરાના ઢગ ઊભા કરી દઈએ છીએ. થોડા સમય પહેલા યોજાયેલી ગરવા ગિરનારની પરિક્રમા બાદ કચરો અને તેમાં પણ પ્લાસ્ટિક અને માવામાસાલાનો કચરો ઉપાડી તંત્રને નાકે દમ આવી ગયો હતો. આથી હવે જૂનાગઢ કલેક્ટર કચેરીએ ખાસ પરિપત્ર બહાર પાડી જૂનાગઢ ગિરનાર અને દાતાર પર્વત પર પ્લાસ્ટિકનો કચરો લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે અને નિયમભંગ કરનાર સામે સજાની પણ જોગવાઈ કરી છે.
જોકે આ સૂચના કોર્ટના કડક વલણ બાદ અમલમાં આવી છે. જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર આજથી કોઈપણ પ્રકારની પ્લાસ્ટિકની ચીજવસ્તુ લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે ઠપકો આપ્યા બાદ શુક્રવારે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે ગીરનાર અને દાતાર પર્વત પર પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ લઈ જવા પર રોક લગાવી છે. આ બંને યાત્રાધામના સ્થળો છે ત્યારે લોકો અહીં વિવિધ પ્રકારની પ્લાસ્ટીકની વસ્તુઓ સાથે આવતા હોય છે. જોકે, હવે પ્રતિબંધ મૂકી દેવાતાં જો કોઈપણ મુલાકાતી નિયમનો ભંગ કરશે તો તે દંડને પાત્ર બનશે.
જો કોઈ વ્યક્તિ પાસેથી પ્લાસ્ટીકની કોઈ વસ્તુ કે પેકેજિંગ મટીરિયલ મળી આવશે તો તેને ગીરનાર અને દાતાર પર્વત પર પ્રવેશ નહીં આપવામાં આવે. કલેક્ટર કચેરીના આદેશ પ્રમાણે, આ બંને પર્વત પર જો કોઈ વ્યક્તિ પ્લાસ્ટીકની ચીજવસ્તુઓ સાથે પકડાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ જાહેર સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલા આદેશનું ઉલ્લંઘન કરે અથવા કોઈ સત્તાધીશ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરે તો કલમ 188 હેઠળ તેને ગુનો ગણીને છ મહિના સુધીની જેલ અથવા 1000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે.
કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલો આ પરિપત્ર 30 ડિસેમ્બર, 2023થી લઈને 27 ફેબ્રુઆરી 2024 સુધી અમલમાં રહેશે. કલેક્ટરે પોતાના જાહેરનામામાં જણાવ્યું હતું કે, પર્વત પર થયેલી ગંદકીને જોતાં અને હાઈકોર્ટના સલાહ-સૂચનો બાદ તમામ પ્રકારની પ્લાસ્ટીકની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવો યોગ્ય રહેશે.