Gujarat: ગુજરાતના યુવાનો મારી રહ્યા છે દમ, રાજ્ય બની ગયું છે ઉડતા ગુજરાત?
![Underworld don Dawood Ibrahim's Sagarit was running a drugs racket](https://bombaysamachar.com/wp-content/uploads/2023/12/Drugs.webp)
અમદાવાદઃ દરેક દેશ કે રાજ્યની ખરી પૂંજી તેનું યુવાધન હોય છે. જો આ યુવાધન આડા રસ્તે વળી જાય તો સમાજ અને રાજ્યની વિકાસની ગતિ ધીમી પડી જાય છે અને બીમારી તેમ જ ગુનાખોરી વધી જાય છે. વિકસિત કહેવાતા ગુજરાતમાં પણ યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે.
સરકાર દ્વારા જ આપવામાં આવેલા આંકડા અનુસાર પાંચ વર્ષમાં ગુજરાતમાંથી 93,691 કિલો ડ્રગ્સ, 2,229 લિટર લિક્વીડ ડ્રગ્સ અને 93,763 કિલો દવાની ગોળીઓ અને ઇન્જેક્શન જપ્ત કરાયા છે. પોલીસની કાર્યવાહીમાં પકડાયેલો આ જથ્થો છે. આ સિવાય મોટાપાયે વેપાર થતો હોવાની પોલીસને પણ શંકા છે. તાજેતરમાં પૂરા થયેલા શિયાળુસત્રમાં રાજ્યસભામાં સાંસદ ધીરજ પ્રસાદ શાહુ અને ડૉ. અમી યાજ્ઞિકના સવાલના જવાબમાં ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 2018 થી 2022 દરમિયાન ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવા અંગેની માહિતી આપવામાં આવી હતી.
તે અનુસાર રાષ્ટ્રીય સર્વેના મળેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 17,35,000 પુરૂષ અને 1,85,000 સ્ત્રી માદક દ્રવ્યોના વ્યસની છે. 13 ડિસેમ્બર 2023ના સુધીમાં 27,842 કિગ્રા opium- drugs, 59,365 કિગ્રા cannabis- drugs, 75 કિલો cocaine અને 3,789 કિલો psychotropic સબસ્ટેન્સ અને અન્ય ડ્રગની માત્રા પકડાઈ હોવાનું પણ અહેવાલમાં જણાવ્યું છે.
2022માં સમગ્ર ભારતમાં પકડાયેલા 71.89 કિલો કોકેઈનમાંથી 39.1 કિલો કોકેઈન ગુજરાતમાંથી ઝડપાયું હતું. ગુજરાતમાં પણ નશાખોરોની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં દર લાખની વસ્તી દીઠ માત્ર 117 પોલીસ કર્મચારીઓ છે, જે રાષ્ટ્રીય સરેરાશ 152 કરતા ઓછા અને જરૂરી 174 કરતા ઘણા ઓછા છે, તે પણ વધતી નશાખોરી માટે જવાબદાર માનવામાં આવે છે.
ગૃહ મંત્રાલયના કહેવા અનુસાર ગુજરાતની વિશાળ દરિયાઈ સરહદો દ્વારા ઊભા થયેલા પડકારો તેઓ ઝીલી રહ્યા છે. જોકે રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહીતની કેન્દ્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ, પેટ્રોલિંગ, રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહીતની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈમાર્ગ, દરિયાઈમાર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. માત્ર પુરુષો જ નહીં મહિલાઓ પણ ડ્રગ્સ વેચવાના ધંધામાં સંડોવાઈ છે. આવી સ્થિતિમાં સરકાર સાથે માતા-પિતાએ પણ સતર્ક રહેવાની જરૂર છે.
આ અંગે મુંબઈ સમાચારનો અમી યાજ્ઞિક કે ગૃહ ખાતાના સૂત્રો સાથે સીધો સંપર્ક થઈ શક્યો ન હતો.