નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે ગુરુવારે ત્રણ અર્ધલશ્કરી દળોના નવા વડા તરીકે ઘણા હાર્ડકોર IB અધિકારીઓની નિમણૂક કરી છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)માં સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યાં 54 વર્ષમાં પ્રથમ વખત મહિલા અધિકારી નીના સિંહને CISF સુરક્ષા દળની કમાન સોંપવામાં આવી છે.
1969માં રચાયેલી CISFની કમાન્ડ માત્ર પુરૂષ અધિકારીઓ જ સંભાળતા હતા. નીના સિંહ 2021માં જ CISFમાં જોડાયા હતા. નિવૃત્તિ પહેલા તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. નીના સિંહ 31 જુલાઈ 2024 ના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યા છે, ત્યાં સુધી તેઓ CISF ચીફ રહેશે.
CISFના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત થયેલા નીના સિંહ રાજસ્થાન કેડરના 1989 બેચના IPS અધિકારી છે. અગાઉ તેઓ CISFના એડિશનલ ડિરેક્ટર જનરલનો હોદ્દો સંભાળતા હતા. નીના સિંહ બિહારના પટણાના રહેવાસી છે. તેમણે મહિલા કૉલેજ પટણાથી અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેઓએ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી અને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેમણે નોબેલ વિજેતા અભિજીત બેનરજી અને એસ્થર ડુફલો સાથે બે સંશોધન પત્ર પણ લખ્યા છે. તેમણે કેન્દ્ર સરકારમાં પણ સેવા આપી છે.
રાજસ્થાન પોલીસમાં ડીજીનું પદ મેળવનારા તેઓ પ્રથમ મહિલા અધિકારી હતી. આઇપીએસ નીના સિંહે વર્ષ 2000માં રાજસ્થાન મહિલા આયોગના સભ્ય સચિવનું પદ પણ સંભાળ્યું હતું, જ્યાં તેમણે મહિલાઓ માટે આઉટરીચ અભિયાન ચલાવ્યું હતું. અહીં તેમને વિવિધ જિલ્લાઓની મુલાકાત લઇ મહિલાઓનો સંપર્ક સાધી તેમની સમસ્યાઓ સાંભળી તેનું નિરાકરણ લાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
નીના સિંહ 2013 માં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે સીબીઆઈમાં જોડાયા હતા. તેમણે 2018 સુધી આ પદ પર સેવા આપી હતી. આ સમયગાળા દરમિયાન, તેમણે બેંક છેતરપિંડી, ભ્રષ્ટાચાર, આર્થિક ગુનાઓ અને ઘણા હાઇ-પ્રોફાઇલ કેસમાં પણ કામ કર્યું.
એક અહેવાલ અનુસાર IPS નીના સિંહ શીના બોરા હત્યા કેસ, જિયા ખાન આત્મહત્યા અને નીરવ મોદી PNB કૌભાંડ કેસની તપાસનો પણ ભાગ રહ્યા છે. તેમને વર્ષ 2020માં સૌથી શ્રેષ્ઠ સેવા મેડલ પણ એનાયત કરવામાં આવ્યો છે. IPS નીના સિંહના પતિ રોહિત કુમાર પણ રાજસ્થાન કેડરના IAS અધિકારી છે. તેઓ 2020-21માં રાજસ્થાનમાં મુખ્ય સચિવ (આરોગ્ય) હતા, હાલમાં તેઓ કેન્દ્રીય ગ્રાહક મંત્રાલયમાં સચિવ છે.
IPS નીના સિંહ સિવાય મણિપુર કેડર 1989 બેચના IPS ઓફિસર રાહુલ રસગોત્રાને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) ના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેઓ અગાઉ ઈન્ટેલિજન્સ બ્યુરોના વિશેષ નિર્દેશક હતા.
ITBPના વડા અનીશ દયાલ સિંહને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના મહાનિર્દેશક તરીકે જ્યારે નિયુક્ત કરવામાં આવ્યા હતા, એમ કર્મચારી મંત્રાલયના આદેશમાં આ માહિતી આપવામાં આવી છે.