![A combination of pictures shows the Padma Shri award that is placed on the pavement near Kartavya Path by wrestler Bajrang Punia as he speaks to the media on returning his award after former Wrestling Federation of India (WFI)](https://bombaysamachar.com/wp-content/uploads/2023/12/Bajrang-Puniya.webp)
નવી દિલ્હી: પહેલવાનોના વિરોધ પ્રદર્શન બાદ આખરે રમત-ગમત મંત્રાલય દ્વારા ભારતીય કુસ્તી સંઘની નવી ચૂંટાયેલી કાર્યકારણી સપ્સેન્ડ કરવામાં આવી છે. છેલ્લાં ઘણાં સમયથી દેશના પહેલવાનો ભારતીય કુસ્તી મહાસંઘના નિર્ણયો સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં. નવી કાર્યકારણીના અધ્યક્ષના વિરોધમાં બજરંગ પૂનિયાએ પોતાનું પદ્મશ્રી સન્માન વડા પ્રધાન નિવાસની બહાર મૂકી દીધુ હતું. જ્યારે સાક્ષી મલિકે કુસ્તીમાંથી સન્યાસ જાહેર કર્યો હતો.
જોકે હવે રમત-ગમત મંત્રાલયે જ્યારે નવી ચૂંટાયેલી કાર્યકારણી સસ્પેન્ડ કરી છે ત્યારે શું બજરંગ પૂનિયા સન્માન પાછું લેશે? શું સાક્ષી મલિક કુસ્તી મેટ પર પાછી ફરશે એવા પ્રશ્નો થઇ રહ્યાં છે. જે રીતે WFI ની ચૂંટણી થઇ હતી તેને કારણે તો ફરી બ્રિજભૂષણનો જ દબદબો રહે એમ હતું. સંજય સિંહે ગોંડામાં નેશનલ જુનિયર કુસ્તી સ્પર્ધાની જાહેરાત કર્યા બાદ સાક્ષીએ ફરી ડર વ્યક્ત કર્યો હતો.
સાક્ષીની માતાએ કહ્યું કે, જો નવી કાર્યકારણીમાં સારા લોકો આવશે અને મહિલા અધ્યક્ષ બનશે તો સાક્ષી કુસ્તી મેટ પર પાછી દેખાશે. અને જ્યારે ફેર ઇલેક્ષનની વાત થઇ જ રહી છે તો રાજ્ય સ્તરની કુસ્તી સંઘની તમામ બોડી ભંગ કરવી જોઇએ એમ સાક્ષીનું કહેવું છે. ત્યાં બીજી બાજુ પદ્યશ્રી પાછા લેવા અંગે બજરંગ પૂનિયાએ પણ મૌન તોડ્યુ છે. પૂનિયાએ કહ્યું કે, જ્યાં સુધી મહિલા પહેલવાનોને ન્યાન નહીં મળે ત્યાં સુધી મને કોઇ સન્માન નથી જોઇતું. પૂનિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતાં કહ્યું કે, અમને માત્ર ભગવાન પર ભરોસો છે. મેં મારો પદ્મશ્રી સન્માન બહેન-દિકરી માટે પાછો કર્યો છે. અને જ્યાં સુધી એમને ન્યાન ન મળી જાય ત્યાં સુધી મને કોઇ સન્માન નથી જોઇતો