આપણું ગુજરાત

આયુષ્માન કાર્ડ એ ખરાં અર્થમાં નરેન્દ્ર મોદીની સ્વાસ્થ્ય ગેરંટી: મુખ્ય પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આજે વિશ્ર્વની સૌથી મોટી આરોગ્ય લાભ યોજના છે. રૂ. પાંચ લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડતી આ યોજનાનું આયુષ્માન કાર્ડ ખરાં અર્થમાં આરોગ્ય ક્ષેત્રે દેશના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વાસ્થ્ય ગેરંટી છે, એવું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
અમદાવાદ ખાતે ૨૦મી ‘ન્યુરો અપડેટ ૨૦૨૩’ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ થકી આજે દેશના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે. પહેલાં નાના માણસ માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ મેળવવી આર્થિક દૃષ્ટિએ ખૂબ જ મુશ્કેલ હતી. ગુજરાતમાં તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસના ધ્યેય સાથે તત્કાલીન મુખ્ય પ્રધાન અને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦ વર્ષ પહેલાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. આરોગ્ય, ફાર્મા, કેમિકલ સહિત દરેક ક્ષેત્રે આજે આ ગ્લોબલ સમિટના ફળ આપણે મેળવી રહ્યાં છીએ,

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે આપણે આઝાદીના અમૃત કાળમાં પ્રવેશ્યા છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૪૭ સુધી દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને સાકાર કરવાની દિશામાં અત્યારે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. આ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ લાભાર્થીઓના દ્વારે પહોંચી રહી છે અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને તેના લાભો મળી રહ્યા છે. આ રીતે દેશની વિકાસયાત્રામાં દરેક નાગરિક જોડાશે, દરેકનો સર્વાંગી વિકાસ થશે અને આપણે વિકસિત ભારતના આપણા સંકલ્પને સાકાર કરી શકીશું.

આજની આ ન્યૂરોલોજી કોન્ફરન્સમાં થનારા ચિંતન, મનન અને હકારાત્મક ચર્ચા વિચારણા ન્યૂરોલોજી અને મેડિકલ ક્ષેત્રને ચોક્કસપણે મદદરૂપ બનશે, એવી આશા વ્યક્ત કરીને મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે આવી વિવિધ કોન્ફરન્સ થકી સરકારને પણ ઘણીવાર પોલિસી મેકિંગ માટે હકારાત્મક સૂચનો પ્રાપ્ત થતાં હોય છે. આ કોન્ફરન્સ અંતર્ગત ‘પ્રેગ્મેટિક એપ્રોચ ઈન ન્યૂરોલોજી’ વિષય પર ન્યૂરોલોજી સાથે સંકળાયેલા દેશના જાણીતા ડોક્ટર્સનાં વક્તવ્યો અને ચર્ચાસભાઓ યોજાશે. કોન્ફરન્સમાં એન એચ એલ મેડિકલ કૉલેજના ડીન, અમદાવાદ એસોસિયેશન ઓફ ફિઝિશિયનના ડૉક્ટર્સ તથા અમદાવાદ સહિત દેશભરમાંથી જાણીતા ન્યૂરોલોજી ડૉક્ટર્સ, પ્રોફેસર્સ અને ન્યૂરોલોજી સાથે સંકળાયેલા પ્રોફેશનલ્સ સહભાગી થયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza કાકડીને ખાવાની આ છે સાચી રીત… A Simple Guide: What NOT to Offer Lord Shani