આમચી મુંબઈ

દક્ષિણ મુંબઇમાં ઉર્દૂ શિક્ષણ કેન્દ્ર

ભાજપ-ઉદ્ધવ જૂથ શિવસેના આમને સામને

નાગપુર: દક્ષિણ મુંબઈના આગ્રીપાડા વિસ્તારમાં ઉર્દૂ શિક્ષણ કેન્દ્રના બાંધકામના મુદ્દે ભાજપ અને શિવસેનાના વિધાનસભ્યોએ એકબીજા સામે બાંયો ચડાવી આમને સામને થયા છે. ભાજપના વિધાનસભ્ય મિહિર કોટેચાએ ધ્યાનાકર્ષક પ્રસ્તાવ દરમિયાન વિધાનસભામાં ઉર્દૂ શિક્ષણ કેન્દ્રનો મુદ્દો ઉઠાવ્યો હતો અને અગાઉની મહાવિકાસ આઘાડી સરકાર પર તૃષ્ટીકરણનું રાજકારણ કરવાનો આક્ષેપ કર્યો હતો. આઈટીઆઈ કેન્દ્રના બાંધકામની માગણી કરી કોટેચાએ જણાવ્યું હતું કે ‘અગાઉની શિવસેના યુબીટી સરકારે લઘુમતી કોમને રાજી રાખવા દરેક પ્રકારના પ્રયાસ શરૂ કર્યા હતા. એ સરકારે યોજના અનુસાર ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ)નું નિર્માણ કરવાને બદલે ઉર્દૂ શિક્ષણ કેન્દ્રના બાંધકામની મુંબઈ મહાનગરપાલિકાને ફરજ પાડી હતી.’
કેબિનેટ પ્રધાન ઉદય સામંતે જણાવ્યું હતું કે આ નિર્ણયને અગાઉ બોમ્બે હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. મુખ્ય સચિવના આદેશ અનુસાર કામ સ્થગિત કરવામાં આવ્યું છે. જોકે, ભાજપના વિધાનસભ્યોએ મુદ્દો ઉઠાવવાનું ચાલુ રાખ્યું હતું અને અગાઉની સરકારે તૃષ્ટિકરણની રાજનીતિ અપનાવી હોવાનું ગાણું ચાલુ રાખ્યું હતું. સમાજવાદી પક્ષના વિધાનસભ્ય રઈસ શેખના કહેવા અનુસાર શિવસેનાના વિધાનસભ્ય યામિની જાધવે ઉર્દૂ શિક્ષણ કેન્દ્રનો પ્રસ્તાવ સર્વપ્રથમ રજૂ કર્યો હતો. ત્યારબાદ આ યોજનામાં વિધિસર આગળ વધવામાં આવ્યું હતું. કેન્દ્ર માટે જમીન ફાળવનાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગણી ભાજપના વિધાનસભ્ય નીતીશ રાણેએ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button