આપણું ગુજરાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતમાં એરપોર્ટના ટર્મિનલ બાદ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટના ટર્મિનલ બાદ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખાસ વિમાન મારફતે સુરત એરપોર્ટ પર સવારે ૧૦.૨૦ વાગ્યે આવી પહોંચશે. સૌ પ્રથમ એરપોર્ટના નવા ટર્મિનલ અને ત્યારબાદ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરી સભાને સંબોધન કરશે. બપોરે ૨ વાગ્યા આસપાસ સુરતથી રવાના થશે. વડા પ્રધાનના આગમનને લઈને સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સવારે ૧૦.૨૦ કલાકે સુરત એરપોર્ટ આવી પહોંચશે. જ્યાં નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે. ત્યારબાદ પ્રથમ ફ્લાઇટ આવશે ,જ્યાં ૧૫ થી ૨૦ મિનિટ સુધી એરપોર્ટ પર રોકાશે. એરપોર્ટનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ખજોદસ્થિત ડાયમંડ બુર્સ જવા રવાના થશે. અંદાજિત ૧૦.૪૫ કલાકે સુરત ડાયમંડ બુર્સ પહોંચશે જ્યાં અડધો કલાક ડાયમંડ બુર્સની મુલાકાત લઈ નિરીક્ષણ કરશે.

ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાહેર જનસભાને સંબોધશે. જનસભામાં દેશ-વિદેશથી આવેલા અંદાજિત બે હજાર લોકોની જનમેદનીને સંબોધશે. આ પ્રસંગે હીરા વ્યવસાય સાથે સંકળાયેલા રત્ન-કલાકારો સહિત ૨૫ હજાર લોકો ઉપસ્થિતિ રહે તેવી શકયતા સેવાઈ રહી છે. અંદાજિત ૧૨ વાગ્યાથી જનસભા શરૂ થશે, જે જનસભા દોઢથી બે કલાક ચાલી શકે છે. બપોરના બે વાગ્યે બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જનસભા પૂર્ણ કર્યા બાદ એરપોર્ટ જવા રવાના થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની પૂર્વ તૈયારીના ભાગરૂપે રિહર્સલ કરવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button