ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ગાયકનું નિધન, ઈન્ડસ્ટ્રી આઘાતમાં
![Famous singer of film industry passes away, industry in shock](https://bombaysamachar.com/wp-content/uploads/2023/12/Jignesh-J-Pathak-2023-12-15T211540.999.jpg)
કોલકાતાઃ ગયા અઠવાડિયા દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કોમેડિયન અભિનેતાના અવસાન પછી આજે ઈન્ડસ્ટ્રીએ જાણીતા ગાયક અનુપ ઘોષાલને ગુમાવતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સૌથી મોટો આઘાત લાગ્યો હતો. 1983ની ફિલ્મ ‘માસુમ’નું સુપરહિટ ગીત ‘તુજસે નારાજ નહીં ઝિંદગી’ને પોતાનો મધુર અવાજ આપનાર બંગાળી ગાયક અનુપ ઘોષાલ ઈન્ડસ્ટ્રીમાં જાણીતા બન્યા હતા. 77 વર્ષની ઉંમરે (વૃદ્ધાવાસ્થા સંબંધિત વિવિધ બીમારીઓને કારણે) આજે દક્ષિણ કલકત્તાની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
આજે બપોરે 1.40 વાગ્યે હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. ગાયક અનુપ ઘોષાલના અવસાનથી આખા બૉલીવૂડમાં શોકનું મોજું ફેલાયું હતું. બંગાળી ગાયક અનુપ ઘોષાલને બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. અનુપ ઘોષાલે તપન સિન્હા જેવા ડિરેક્ટર સાથે પણ કામ કર્યું હતું.
અનુપ ઘોષાલે ફિલ્મ નિર્માતા સત્યજિત રેની અનેક ફિલ્મોના ગીતમાં પોતાનો સ્વર આપીને દરેક ગીતોને એવરગ્રીન બનાવી દીધા હતા. આ મહાન ગીતકારે કાજી નજરૂમ ઇસ્લામ, રવિન્દ્રનાથ ટાગોરની સાથે સાથે અનેક આધુનિક બંગાળી ગીતો પણ ગાયા હતા. અનુપ ઘોષાલે એક પ્લેબૅક સિંગર તરીકે ‘ગોપી ગાઈન બાઘા બાઈન’ અને ‘હીરક રાજાર દેશે’ જેવા અનેક લોકગીતો પણ ગયા છે.
અનુપ ઘોષાલના અવસાનના સમાચાર મળતા બંગાળના સીએમ મમતા બેનરજીએ કહ્યું હતું કે બંગાળી, હિન્દી અને બીજી અનેક ભાષાઓમાં ગીત ગાનાર અનુપ ઘોષાલના નિધન પર દુખ સંવેદના વ્યક્ત કરી હતી. બીજી મહત્ત્વની વાત જણાવી દઈએ કે અનુપ ઘોષાલે વર્ષ 2011માં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)ની ટિકિટ પર ઉત્તરપાડાથી વિધાનસભા ચૂંટણીમાં પણ ઉતાર્યા હતા.