રેલવે અને મેટ્રોનું CSMT સ્ટેશન સબવેથી જોડવામાં આવશે
![Image depicting the connection between CSMT railway and metro stations via subway](https://bombaysamachar.com/wp-content/uploads/2023/12/CSMT-metro.webp)
મુંબઇ: મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મીનસપર મુસાફરોની ખૂબ જ ભીડ જોવા મળે છે. આ રેલવે સ્ટેશન પરથી રોજના લગભગ 11 લાખ મુસાફરો મુસાફરી કરતા હોય છે. મંત્રાલય, મહાનગરપાલિકા, બજારો, બંદર, સરકારી અને ખાનગી ઓફીસીસ આ જ વિસ્તારમાં હોવાથી ઓફીસ ટાઇમમાં આ સ્ટેશન પર ભીડ વધી જાય છે. ઉપરાંત આવનારા સમયમાં કોલાબા-સીપ્ઝ-બાંદ્રા મેટ્રો 3નું પ્રસ્તાવીક સ્ટેશન સીએસએમટી પરિસરમાં જ તૈયાર કરવામાં આવનાર છે. તેથી અહીં ભીડ હજી વધવાની શક્યતાઓ છે. ત્યારે હવે આ પરિસ્થિતીને ધ્યાનમાં લઇને વધારાની ભડી ડાયવર્ચ થઇ શકે તે હેતુથી તેનું યોગ્ય વિભાજન કરવા માટે મેટ્રો 3ના પ્રસ્તાવીક સીએસએમટી સ્ટેશનને હાલના મધ્ય રેલવેના સીએસએમટી સ્ટેશનના સબવે દ્વારા જોડવામાં આવનાર છે.
અગાઉ મધ્ય રેલવેના સીએસએમટી સ્ટેશન પર આવવા માટે મુસાફરોને રસ્તો ઓળંગીને આવવું પડતું હતું. જેને કારણે ટ્રાફીક વ્યવસ્થા અને ચાલનારા બંનેને તકલીફ થતી હતી. ત્યાર બાદ અહીં સબ વે બનાવવામાં આવ્યો. અને હજારીમલ સોમાણી માર્ગ, મહાનગરપાલિકા માર્ગ અને દાદાભાઇ નવરોજી માર્ગથી સીએસએમટી સ્ટેશન પર જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે પીકટાઇમમાં આ સબ વેમાં પણ ખૂબ જ ભીડ હોય છે. ઉપરાંત આ સેબવેમાં ફેરીયાઓ બેસતા હોવાથી લોકોને ચાલવા માટે સાંકડો રસ્તો મળે છે.
માર્ચ 2023થી હિમાલય પુલ મુસાફરો માટે ખૂલ્લો મૂકાતાં આ રસ્તા પર પણ મુસાફરોની ભારે ભીડ હોય છે. જોકે આવનારા સમયમાં મેટ્રો 3નું સ્ટેશન બન્યા બાદ પશ્ચિમ ઉપનગરની ગીરદી સીએસએમટી વિસ્તારમાં વધશે. તેથી સીએસએમટી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 અને હિમાલય બ્રીજ પાસે નવો સબવે બનાવવાનું આયોજન છે.