પાન મસાલાની જાહેરાત કરવી પડી મોંઘી, હાઈકોર્ટે શાહરૂખ, અક્ષય અને અજય દેવગનને મોકલી નોટિસ

લખનઊઃ હાઇકોર્ટની લખનઊ બેન્ચે ગુટખા કંપનીઓના પ્રમોશનના કેસમાં અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગનને નોટિસ ફટકારી છે. હાઇ કોર્ટે કેબિનેટ સેક્રેટરી, ચીફ કમિશનર, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીને તિરસ્કારની નોટિસ જારી કરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા કોર્ટને આ બાબતે માહિતી આપવામાં આવી હતી. તેના પર કોર્ટે આગામી સુનાવણી માટે 9 મે, 2024 નક્કી કરી છે અને આગળની કાર્યવાહીની વિગતો માંગી છે.
સ્થાનિક એડવોકેટ મોતીલાલ યાદવની તિરસ્કારની અરજી પર ન્યાયમૂર્તિ રાજેશ સિંહ ચૌહાણની સિંગલ બેન્ચે આ આદેશ આપ્યો હતો. અરજદારનું કહેવું છે કે તેની પીઆઈએલ પર, 22 સપ્ટેમ્બર, 2022 ના રોજ બે સભ્યોની ડિવિઝન બેન્ચે આદેશ આપ્યો હતો કે જો અરજદાર કલાકારો દ્વારા ગુટખા કંપનીઓના પ્રમોશનના કેસમાં રજૂઆત કરે છે, તો તેના પર વિચાર કરવામાં આવે અને તેનો ઝડપથી નિકાલ કરવામાં આવે. અરજદારે દલીલ કરી હતી કે આ આદેશના પાલનમાં, તેણે 15 ઓક્ટોબર, 2022 ના રોજ જ એક રજૂઆત મોકલીને કાર્યવાહીની માંગ કરી હતી, પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આના પર કોર્ટે 24 ઓગસ્ટ 2023ના રોજ કેબિનેટ સેક્રેટરી, ચીફ કમિશનર- કન્ઝ્યુમર પ્રોટેક્શનને તિરસ્કારની નોટિસ જારી કરી હતી.
શુક્રવારે સુનાવણી દરમિયાન, કેન્દ્ર સરકાર વતી ડેપ્યુટી સોલિસિટર જનરલે 16 ઓક્ટોબરની નોટિસની નકલ રજૂ કરી હતી અને કહ્યું હતું કે અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગનને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે અને તેમનો જવાબ માંગવામાં આવ્યો છે. એવી પણ માહિતી આપવામાં આવી હતી કે અભિનેતા અમિતાભ બચ્ચને કોન્ટ્રાક્ટની સમાપ્તિ છતાં તેમને જાહેરાતમાં દર્શાવવા બદલ સંબંધિત પાન મસાલા બ્રાન્ડને કાનૂની નોટિસ મોકલી છે.