છત્તીસગઢના નવા સીએમનું સસ્પેન્સ થશે સમાપ્ત! થોડા સમય બાદ ભાજપ વિધાનસભ્ય દળની બેઠક
![BJP Legislative Party Meeting in Chhattisgarh to Decide on New Chief Minister](https://bombaysamachar.com/wp-content/uploads/2023/12/bjp-1-1702177351.jpg)
રાયપુર: છત્તીસગઢમાં ભાજપના આગામી મુખ્ય પ્રધાન કોણ બનશે? આ સસ્પેન્સ આજે બહાર આવી શકે છે. આજે 12 વાગે ભાજપના 54 નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની બેઠક યોજાવા જઈ રહી છે.
આમાં ભાગ લેવા માટે ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા તૈનાત કરાયેલા ત્રણ નિરીક્ષકો આજે રાયપુર પહોંચશે. આજે રાયપુરમાં ભાજપ કાર્યાલયમાં વિધાન સભ્ય દળની બેઠક યોજાશે. છત્તીસગઢ માટે ભાજપે અર્જુન મુંડા, સર્બાનંદ સોનેવાલ અને દુષ્યંત કુમાર ગૌતમને નિરીક્ષક બનાવ્યા છે. ગયા મહિને વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાના મુખ્ય પ્રધાનપદના ઉમેદવારની જાહેરાત કરી ન હતી. પાર્ટીએ પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડી હતી.
પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અરુણ સાઓએ શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં ત્રણ નિરીક્ષકો, કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મુંડા અને સર્બાનંદ સોનોવાલ અને પાર્ટીના મહાસચિવ દુષ્યંત કુમાર ગૌતમ, પાર્ટીના છત્તીસગઢ પ્રભારી ઓમ માથુર, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા સાથે રાજ્ય પાર્ટીના સહ પ્રભારી નીતિન નબીન પણ ત્યાં હાજર રહેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન અને બીજેપી નેતા ડૉ.મનસુખ માંડવિયા છત્તીસગઢના રાયપુર પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 90માંથી 54 બેઠકો જીતી છે, જ્યારે 2018માં 68 સીટો જીતનારી કોંગ્રેસની સીટ ઘટીને 35 થઈ ગઈ છે. ગોંડવાના ગણતંત્ર પાર્ટી (GGP) એક બેઠક જીતવામાં સફળ રહી છે.
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જો ભાજપ 2003થી 2018 સુધી ત્રણ વખત મુખ્ય પ્રધાન રહી ચૂકેલા રમણ સિંહને પસંદ નહીં કરે તો તે OBC અથવા આદિવાસી મુખ્ય પ્રધાનને પસંદ કરશે. આદિવાસી સમુદાયમાંથી આવતા પૂર્વ કેન્દ્રીય પ્રધાન વિષ્ણુ દેવ સાંઈ, વિધાન સભ્ય તરીકે ચૂંટાયા બાદ કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપનાર રેણુકા સિંહ, રાજ્યના પૂર્વ મંત્રીઓ રામવિચાર નેતામ અને લતા તેનેન્ડીએ ચૂંટાયા બાદ સાંસદ પદેથી રાજીનામું આપ્યું હતું. મુખ્ય પ્રધાન પદના અન્ય દાવેદારોમાં ગોમતી સાઈનો પણ સમાવેશ થાય છે.
રાજ્યની વસ્તીમાં આદિવાસી સમુદાયનો હિસ્સો 32 ટકા છે અને ભાજપે આ વખતે અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત 29 બેઠકોમાંથી 17 બેઠકો જીતી છે. ભાજપે 2018માં આદિવાસીઓ માટે અનામત માત્ર ત્રણ બેઠકો જીતી હતી. આ વખતે તેમણે આદિવાસી પ્રભુત્વ ધરાવતા સુરગુજા વિભાગની તમામ 14 બેઠકો જીતી લીધી છે. કોંગ્રેસે 2018માં ડિવિઝનની તમામ 14 બેઠકો જીતી હતી. વિષ્ણુદેવ સાઈ, રેણુકા સિંહ, રામવિચાર નેતામ અને ગોમતી સાઈ આ વિભાગમાંથી આવે છે. રાજ્ય પ્રમુખ સાઓ, જેમણે વિધાન સભ્ય તરીકે ચૂંટાયા પછી સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું હતું અને અમલદારમાંથી રાજકારણી બનેલા ઓપી ચૌધરી, બંને અન્ય પછાત વર્ગના છે અને તેઓ મુખ્ય પ્રધાનપદના દાવેદારોમાં સામેલ છે.