સારું કામ કરશો તો ઇનામ મળશે, નહીં તો કાર્યવાહી થશે: વહેલી સવારે સફાઇ અભિયાનમાં જોડયા મુખ્ય પ્રધાન
મુંબઇ: મુંબઇ મહાનગરપાલિકા દ્વારા આજે પાંચ વિભાગોના પાંચ વોર્ડમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે બે વાગ્યા સુધી આ સ્વચ્છતા અભિયાન ચાલવાનું છે. આ સ્વચ્છતા અભિયાનમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ સામેલ થયા હતાં.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ દરમીયાન રખડી ગયેલા ગોખલે બ્રીજની કામગીરીની ચકાસણી કરી હતી. આ સમયે કોન્ટ્રાક્ટરો સાથે સંવાદ સાધતા કામ સમયસર પૂરું કરવા કહ્યું હતું. કામ સમયસર કરો તો ઇનામ આપીશું નહીં તો કાર્યવાહી થશે. એવી તાકીદ આપી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ સમયે સફાઇ કર્મચારીઓ સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી.
એકનાથ શિંદેએ વહેલી સવારે સાત વાગે મુંબઇના જુહૂ બીચ પર પહોંચી સફાઇ અભીયાનનો પ્રારંભ કર્યો હતો. આ સમયે સફાઇ કર્મચારીઓ સાથે જાતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રસ્તા પર પાણી નાંખી રસ્તા સાફ કર્યા હતાં. સફાઇ કર્મચારીઓ કામ કરી રહ્યાં હતાં ત્યારે જાતે મુખ્ય પ્રધાને હાથમાં પાણીનો પાઇપ લઇને રસ્તા સાફ કર્યા હતાં.
પાલિકા દ્વારા જુહૂ બીચ પાસે મહાત્મા ગાંધીના પુતળાની આસપાસનો પરિસર, વિલેપાર્લેમાં નેહરુ માર્ગ, શહાજી રાજે મહાનગરપાલિકાની સ્કૂલ, અંધેરી પૂર્વાં આવેલ ગોખલે બ્રીજ, કાંદીવલી પૂર્વના ઠાકૂર કોમ્પલેક્સ, ઘાટકોપર પૂર્વમાં રમાબાઇ નગર, રાજાવાડી હોસ્પીટલ, રાજાવાડી ઉદ્યાન, ટીળકનગરમાં આવેલ સહ્યાદ્રી ક્રીડા મંડળ મેદાન પાસે સફાઇ અભીયાન હાથ ધર્યુ હતું.