ઉત્સવ

મોગલોને રાતે પાણીએ રડાવવા વચ્ચે દુર્ગાદાસ ખેલ્યા નવો દાવ

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૨૧)
દિલ્હીના સુલ્તાન ઔરંગઝેબની ભલે જ્યાં
જ્યાં આણ હોય ત્યાં પણ રાજસ્થાન એને નાકે દમ લાવી રહ્યું હતું. વીર દુર્ગાદાસ રાઠોડ
અને અન્ય આગેવાનોની હિમ્મતથી મારવાડ, જાલોર, જૈતરણા, બિલાડા અને સોજતમાં
મોગલો સામે ઉગ્ર વિરોધ વધી રહ્યો હતો.

આનાથી મોગલ સૈનિકો ફફડાટ વચ્ચે ટકી રહ્યા હતા. લડવાને બદલે બચવાનું વિચારવા માંડ્યા હતા.
પરંતુ ઔરંગઝેબ ભારે અભિમાની. સૈનિકો
ભલે મરે પણ ન હાર માને કે ન વિસ્તાર છોડે. તેણે આ વિદ્રોહનાં કારણો સમજવાને બદલે તે ઉશ્કેરાયો.
શાહઝાદા અકબરને તોતિંગ લશ્કર સાથે
મેવાડ જીતવા માટે મોકલી દીધો. મોગલ
સેના આગળ વધતી ગઈ, ત્યાં નાડોલમાં
રાઠોડ અને સિસોદિયા સેના અચાનક સામે આવી ગઈ.

બંને સેના મળીને મેદાનમાં ઊતરતા
મોગલોના મોતિયા મરી ગયા અને ઈ. સ. ૧૬૮૦ની ૨૭ સપ્ટેમ્બરનો સોમવાર ઘણા મોગલ સૈનિકોના જીવનનો આખરી દિવસ બની ગયો.
મોગલ સેનાને ધૂળ ચાટતી કરવા સાથે દુર્ગાદાસ રાઠોડ નવી ચાલ ચાલ્યા. તેઓ સુપેરે જાણતા હતા કે મોગલ સેના અને ઔરંગઝેબ સામે લડી શકાય, જીતી શકાય અને બલિદાન આપી શકાય, પરંતુ આ બધામાં પોતાની તરફના ઘણા બત્રીક્ષ લક્ષણા હોમાઈ જાય.
દુર્ગાદાસ બળમાં પાછા ન પડ્યા પણ તેમણે કળનો ઉપયોગ કરવાનું વિચાર્યું.
દુર્ગાદાસે ઔરંગઝેબે અકબરને મદદ કરવા માટે મોકલેલા સેનાપતિ તહવરખાન થકી એક સંદેશો મોકલાવ્યો. આ સંદેશમાં એક સપનું હતું જે બધા મોગલ શાહજાદા જોતા હતા પણ બહુ ઓછાનું સાકાર થતું હતું.

દુર્ગાદાસે અકબરને દિલ્હીના સુલ્તાન બનાવવાનું સપનું બતાવ્યું હતું. મોગલ
સલ્તનત અને અન્ય રજવાડામાં રાજગાદી માટે શાહજાદા-રાજકુમારોમાં કેવા ખૂની ખેલ
ખેલાતા હતા એનાથી અકબર પૂરેપૂરો વાકેફ હતો. પોતાના બાપે કરેલા ખૂનખરાબાથી ય ક્યાં અજાણ હતો?
દુર્ગાદાસે યોગ્ય સમયે અકબરની દુ:ખતી રગ પર હાથ મૂક્યો હતો. આ ઓફરે અકબરમાં બાદશાહ બનવાની ઇચ્છાને એકદમ તીવ્ર
બનાવી દીધી. આમેય અકબર રાજસ્થાનમાં
બનેલી એ ઘટનાને લીધે ઔરંગઝેબથી નારાજ
હતો.

શા માટે દીકરો બાપથી નારાજ? ચિતોડ પરના આક્રમણમાં અકબરની આગેવાની હેઠળની મોગલ સેનાએ પીછેહઠ કરવી પડી હતી. આની જાણકારી મળતા જ ઔરંગઝેબે બીજા દીકરા આઝમને ચિતોડનો મોરચો સંભાળવાની જવાબદારી સોંપીને રવાના કર્યો.

આ રીતે પોતાની પાસેથી જવાબદારી
આંચકી લેવાનું અકબરને જરાય ગમ્યું નહોતું. ઔરંગઝેબે મોકલેલા ખિતમત ગુજારખાન, ગજનફર ખાન અને મુહમ્મદ શરીફ રાજસમુદ્ર ભણી
ધસી ગયા.

બીજી તરફ રાઠોડો મેડતોની સેના સાથે મોગલ છાવણીઓ પર તૂટી પડ્યા. આ માહિતી મળવા સાથે હમીદ ખાનને મેડતા દોડાવાયો. ત્યાર બાદ સાંભર અને ડીડવાના પર કરાયેલો કબજો
સલામત રાખવા માટે હમીદ ખાન મારતે ઘોડે
દોડી ગયા.

આ બધા વચ્ચે નારાજ, ઉદાસ, અપમાનિત અને રોષે ભરાયેલો શાહજાદો અકબર મારવાડ ભણી જવા માંડ્યો.

રસ્તામાં રાજપૂતો છાશવારે હેરાન-પરેશાન કરતા હતા. માંડમાંડ શાહજાદો અકબર પોતાના મુકામે સોજત સુધી પહોંચ્યો. આઝમ અને
અકબરે ભારે પ્રયત્નો કર્યા છતાં એકેય સફળતા
ન મળી.

પોતાના અપમાન અને સતત નિષ્ફળતા વચ્ચે અકબરને એકાએક બાદશાહ બની જવાની તક ગમી. એકદમ શીરાની જેમ ગમે ઊતરી ગઈ. પણ આમાં દુર્ગાદાસનો મૂળ ધ્યેય કંઈક અલગ જ
હતો. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ