આમચી મુંબઈ

આરે કોલોનીમાં હવેથી ‘ગ્રીન’ ટોલ

મુંબઈ: પૂર્વ ઉપનગરથી પશ્ર્ચિમ ઉપનગરમાં આવવા-જવા માટે શોર્ટકટ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા આરે કોલોનીના રસ્તા પર પ્રવાસ કરવા માટે હવેથી ટોલ ભરવો પડશે. વનવિભાગે આ અંગે પ્રસ્તાવ મુંબઈ પાલિકાને મોકલાવ્યો છે. આ પ્રસ્તાવ મંજૂર થયા બાદ આગળની કાર્યવાહી થશે તો એટલું ચોક્કસ છે કે મુંબઈગરાનાં ખિસ્સાં ખંખેરાશે.

આરે કોલોનીમાંનો રસ્તો શરૂઆતમાં સાર્વજનિક બાંધકામ ખાતાના નેજા હેઠળ આવતો હતો. આરે પ્રશાસન તરફથી રસ્તાની દેખભાળ અને સમારકામ હાથ ધરવામાં આવતું હતું. ૨૦૧૪ સુધી આ રસ્તા પર પ્રવાસ કરતા સમયે ટોલ વસૂલવામાં આવતો હતો. જોકે ત્યાર બાદ આ રસ્તા મુંબઈ પાલિકાને હસ્તાંતરિત કરવામાં આવ્યા બાદ ટોલ વસૂલવાનો બંધ થઇ ગયો હતો.
પવઈ અને મરોલથી ગોરેગાંવ જવા-આવવા માટે આરે કોલોનીના રસ્તાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હતો. અંધેરી પૂર્વ તરફ અને પશ્ર્ચિમ હાઈવે પરનો ટ્રાફિક જામ ટળે એ માટે આરે કોલોનીનો ઉપયોગ વાહનચાલકો કરતા હતા, પણ આ રસ્તા પર તેને કારણે વાહનોની લાંબી કતાર જોવા મળતી હોય છે. આ જ કારણથી અહીં ગ્રીન ટોલ વસૂલવા માટેનો પ્રસ્તાવ પાલિકાને મોકલવામાં આવ્યો હોવાનું કહેવાઇ રહ્યું છે.

આખરી નિર્ણય પાલિકા લેશે
વન વિભાગે મુંબઈ પાલિકાને ટોલનો પ્રસ્તાવ આપ્યો છે. હવે ટોલ બાબતે પાલિકા નિર્ણય લેશે, એવું વન વિભાગના વેસ્ટર્ન ઝોનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. જો પાલિકા ટોલ વસૂલી માટે મંજૂરીની મહોર મારે તો આ રોડનો પણ ટોલમાં ઉમેરો થશે. પચીસ હજારથી પણ વધારે વાહનો આરે કોલોનીના રસ્ત પરથી પસાર થાય છે. બાઈક સહિત ભારે વાહનો પણ અહીં આવ-જા કરતાં હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button