નેશનલ

રાજસ્થાનમાં આજે મતદાન

ભાજપ-કૉંગ્રેસની બળાબળની કસોટી

ચૂંટણી: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી અગાઉ શુક્રવારે ભરતપુરમાં વિતરણ કેન્દ્ર ખાતે ઈવીએમ અને અન્ય ચૂંટણી સામગ્રી રાખવામાં આવી હતી. (એજન્સી)

જયપુર: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં પચીસ નવેમ્બર, શનિવારે મતદાન થશે. આ ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા થઇ રહી છે. ચૂંટણીના પરિણામ ત્રીજી ડિસેમ્બરે જાહેર થશે.
રાજસ્થાન વિધાનસભાની ૨૦૦ બેઠકમાંથી ૧૯૯ બેઠક પર શનિવારે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થવાનું છે. કરણપુરની બેઠક પરના કૉંગ્રેસના ઉમેદવાર ગુરમિતસિંહ કૂનરનું નિધન થતાં ત્યાં મતદાન મુલતવી રખાયું છે. તેઓ આ બેઠક પરના હાલના વિધાનસભ્ય હતા.
રાજસ્થાન વિધાનસભાની ૨૦૦ બેઠકમાંની પચીસ અનુસૂચિત જાતિ, ૩૪ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત છે, જ્યારે ૧૪૧ બેઠક સામાન્ય દરેક ઉમેદવાર માટે છે.
રાજસ્થાનમાં અંદાજે ૫.૨૫ કરોડ મતદાર અનેક મોટા નેતાનું રાજકીય ભાવિ નક્કી કરશે. રાજ્યમાં મહિલાઓની સલામતી, ભ્રષ્ટાચાર, પેપર ફોડીને યુવાનોના ભાવિ સાથે રમાયેલી રમત જેવા વિવિધ મુદ્દા ચૂંટણી પ્રચારમાં ચગાવાયા હતા. ગુરુવારે સાંજે છ વાગ્યે ચૂંટણીપ્રચાર બંધ થયો હતો.
રાજસ્થાન વિધાનસભાની મુદત ૨૦૨૪ની ૧૪ જાન્યુઆરીએ પૂરી થવાની હોવાથી આ ચૂંટણી યોજાઇ રહી છે.
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ મુખ્ય પક્ષ છે. બન્ને પક્ષે દરેક બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે. આ ઉપરાંત, બહુજન સમાજ પક્ષ (બસપ) અને આમ આદમી પાર્ટી (આપ)એ પણ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે.
ચૂંટણી પંચે મતદારોને જાણકારી આપવા માટે દરેક ઉમેદવારના સોગંદનામા (એફિડેવિટ) અને તેઓની ગુનામાંની સંડોવણીને લગતા રેકોર્ડ વેબસાઇટ પર અપલોડ કર્યા છે.
ભાજપનું સંગઠન રાજસ્થાનમાં ઘણું મજબૂત છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા, હિંદુત્વ જેવા મુદ્દે તેણે મતદારોને આકર્ષવા દરેક પ્રયાસ કર્યા હતા. ઉદયપુરમાંના કનૈયાલાલના કેસને પગલે ભાજપને જમણેરી પાંખના લોકોનો પણ ટેકો મળવાની આશા રખાય છે.
કૉંગ્રેસની જેમ ભાજપના રાજ્ય એકમમાં નેતાઓ વચ્ચે જાહેરમાં મતભેદ નથી દેખાતા, પરંતુ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિવાય રાજ્યમાં કોઇ મોટા નેતાનો ભાજપમાં અભાવ જણાય છે.
રાજસ્થાનના ઘણાં મતદારોમાં સરકાર વિરોધી વલણથી મતદાન ભાજપની તરફેણમાં વધુ થવાની શક્યતા છે.
ભાજપે રાજ્યમાં મહિલાઓ સામેના ગુના સહિતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમ જ ભ્રષ્ટાચારને મુદ્દે અશોક ગહલોતની સરકારને ઘેરવા બનતા દરેક પ્રયાસ કર્યા હતા.
કૉંગ્રેસમાં અશોક ગહલોત અને સચિન પાઇલટ વચ્ચેના મતભેદની ખાસ અસર મતદારો પર નથી દેખાતી. સચિન પાઇલટ હજી પણ ગુજ્જર સમુદાયમાં અગ્રણી નેતા ગણાય છે.
કૉંગ્રેસે મતદારોને મેડિકલ વીમા, રોજગારી, સસ્તો રાંધણગૅસ, મહિલાઓ માટે સસ્તા કે મફત સ્માર્ટફૉન જેવા અનેક વચન આપ્યા છે.
રાજસ્થાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહ જેવા અનેક નેતાએ ચૂંટણીપ્રચારમાં આગળ પડતો ભાગ લીધો હતો. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…