![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/tunnel-collapse.jpg)
દેહરાદુન: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નેશનલ હાઈવે પર નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં 10 દિવસથી ફસાયેલા 41 મજૂરોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. સુત્રોના જણાવ્યા મુજબ ડ્રિલિંગ મશીનની મદદથી આગામી બે દિવસમાં તમામ કામદારોને બહાર કાઢી લેવમાં આવે તેવી આશા છે, પરંતુ મશીન કામ નહીં કરે તો બચાવ કામગીરી 15 દિવસ સુધી લંબાઈ શકે છે. કામદારોને સ્ટીલની પાઈપો દ્વારા ખોરાક, પાણી, ઓક્સીજન અને દવાઓ મોકલવામાં આવી રહી છે.
નેશનલ હાઈવે ઓથોરીટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકન ઓગર ડ્રિલિંગ મશીનો કામદારોને બચાવવા માટે પહેલેથી જ ઉપયોગમાં છે, અત્યારે એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ટનલમાં ફસાયેલા કામદારો બે-અઢી દિવસમાં બહાર આવી શકે છે. શુક્રવારે બપોરે ડ્રિલિંગ મશીન મજબુત ખડક સાથે અથડાયું હતું, જેના કારણે કંપન શરૂ થયું. જે બાદ બચાવકર્મીઓએ સુરક્ષાના કારણોસર કામગીરી અટકાવવી પડી હતી. અન્ય પાંચ એક્શન પ્લાન તૈયાર કર્યા છે, પરંતુ તેમાં 12 થી 15 દિવસનો સમય લાગી શકે છે.
અધિકારીએ કહ્યું કે, એક વિકલ્પ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે અમે બધા વિકલ્પો પર એકસાથે કામ કરી રહ્યા છીએ. ઓગર મશીન અને હોરિઝોન્ટલ બોરિંગથી ટનલ ખોલવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તેમાં 12-15 દિવસનો સમય લાગી શકે છે.
મંગળવારે રેસ્ક્યુ ટીમે ટનલમાં ફસાયેલા કામદારો માટે વેજ પુલાવ અને મટર પનીર પેક કરી પાઈપ દ્વારા મોકલ્યા હતા. સોમવારે સાંજે નાખેલી 6 ઇંચ પહોળી વૈકલ્પિક લાઇફલાઇન પાઇપ દ્વારા તમામ મજૂરોને રાંધેલો ખોરાક મોકલવામાં આવી રહ્યો છે.
તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા 30-સેકન્ડના વિડિયોમાં લગભગ એક ડઝન લોકો કેમેરાની સામે ઉભેલા દેખાય છે, તેમણે સેફટી હેલ્મેટ અને જેકેટ પહેરેલા છે.
NDRF, SDRF, ITBP, આર્મી એન્જિનિયરો, ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી સેવાઓ, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન અને કેન્દ્ર સરકારની અન્ય ટેકનિકલ એજન્સીઓ ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે બચાવ કામગીરીમાં લાગેલી છે. 3-4 આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોને પણ ટનલ સાઇટ પર બોલાવવામાં આવ્યા છે.