નેશનલ

કેદારનાથ, ગંગોત્રીના મંદિર બંધ કરાયા

રૂદ્રપ્રયાગ: હિમાલયની પર્વતમાળામાં આવેલા કેદારનાથ અને ગંગોત્રીના મંદિર શિયાળાની મોસમ માટે ભાઈબીજના તહેવારના દિવસે એટલે કે બુધવારે બંધ કરવામાં આવ્યા હતા.

પરંપરાગત રીતરિવાજ અને પ્રાર્થનાઓ વચ્ચે ભગવાન શંકરને સમર્પિત આ મંદિરના દરવાજા બુધવારે સવારે સાડાઆઠ વાગે બંધ કરવામાં આવ્યા હતા. ભારે ઠંડી છતાં ૨,૫૦૦ જેટલા શ્રદ્ધાળુઓએ આ સમારોહમાં ભાગ લીધો હતો, એમ બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે કહ્યું હતું.

શિયાળા દરમિયાન આ મંદિર હિમાચ્છાદિત ચાદરથી ઢંકાઈ જાય છે.

છેલ્લા થોડા દિવસથી થઈ રહેલી હિમવર્ષાને કારણે કેદારનાથ મંદિર અને તેની આસપાસનો વિસ્તાર બરફની ચાદરથી ઢંકાઈ ગયો છે અને સમગ્ર વિસ્તારમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.

મંદિરના દરવાજા બંધ કરવામાં આવ્યા બાદ સાધુઓએ ભગવાન કેદારનાથની પંચમુખી ડોલી ખભે ઉપાડી લીધી હતી અને ઉખીમઠસ્થિત ઓમકારેશ્ર્વર મંદિર જવા રવાના થયા હતા જ્યાં શિયાળા દરમિયાન કેદારનાથ ભગવાનની પૂજા કરવામાં આવશે.

આ વરસે ૧૯.૫ લાખ કરતા પણ વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ મંદિરની મુલાકાત લીધી હતી, એમ અજેન્દ્ર અજયે કહ્યું હતું.

ઉત્તરાખંડના ઉચ્ચ ગઢવાલ હિમાલયન ક્ષેત્રમાં ચારધામ તરીકે પ્રખ્યાત મંદિરોમાંના એક ગંગોત્રી ધામના દરવાજા મંગળવારે અન્નકૂટ ઉત્સવ નિમિત્તે ભક્તો માટે બંધ કરવામાં આવ્યા હતા. હવે છ મહિના માટે ગંગા માતાને મુખબા ગામમાં રાખવામાં આવશે.

શિયાળામાં મંદિરના છ મહિનાના બંધ દરમિયાન, ભક્તો માતા ગંગાની તેમના શિયાળાના રોકાણ સ્થળ મુખબા ગામમાં પૂજા કરી શકશે. ગંગોત્રી મંદિર સમિતિના સૂત્રોએ જણાવ્યું કે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે માતા ગંગાની વિધિવત્ પૂજા કર્યા બાદ સવારે ૧૧.૪૫ વાગ્યે મંદિરના દરવાજા શિયાળા માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગંગોત્રીના વિધાનસભ્ય સુરેશ ચૌહાણ અને મંદિરના ધાર્મિક અધિકારીઓ ઉપરાંત હજારો ભક્તો પણ હાજર હતા. આ સમયગાળા દરમિયાન તીર્થયાત્રીઓએ ગંગા લહેરીનો પાઠ કરવાનું ચાલુ રાખ્યું હતું. દરવાજા બંધ થયા બાદ પાલખીમાં ગંગાની મૂર્તિ મંદિર પરિસરમાંથી બહાર આવતા જ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. બેન્ડની ધૂન અને પરંપરાગત ઢોલના નાદ સાથે, યાત્રાળુ પુરોહિતો પગપાળા ગંગાની પાલખીને મુખબા ગામમાં લઈ જવા નીકળ્યા હતા. મુખબા ગામ તેમના શિયાળામાં રોકાણનું સ્થળ છે.

આ યાત્રા સીઝનમાં રેકોર્ડ નવ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ગંગોત્રી ધામના દર્શન કરવા પહોંચ્યા હતા. બુધવારે ભાઇબીજના અવસરે કેદારનાથ અને યમુનોત્રીના દરવાજા પણ શિયાળાની ઋતુ માટે બંધ કરવામાં આવશે, જ્યારે બદ્રીનાથના કપાટ ૧૮ નવેમ્બરે બંધ કરવામાં આવશે. શિયાળામાં હિમવર્ષા અને કડકડતી ઠંડીને કારણે દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ચારધામના દરવાજા ભક્તો માટે બંધ કરવામાં આવે છે, જે આવતા વર્ષે એપ્રિલ-મેમાં ફરી ખોલવામાં આવે છે.

ગઢવાલ ક્ષેત્રની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ગણાતી ચારધામ યાત્રા માટે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. આ વખતે ચારધામ યાત્રા દરમિયાન રેકોર્ડબ્રેક સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. સરકારી આંકડાઓ અનુસાર આ વર્ષે ૧૩ નવેમ્બર સુધીમાં ૫૩,૯૪,૭૩૯ શ્રદ્ધાળુઓ ચારધામ દર્શન માટે આવ્યા છે. અગાઉ ગત વર્ષે પણ ચારધામ યાત્રામાં ૪૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.(એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?