જો પશ્ચિમ રેલવેએ આ નિર્ણય લીધો તો સ્લો કોરિડોરના પ્રવાસીઓને થશે રાહત
![The plight of tourists traveling on Central Railway is increasing from today](https://bombaysamachar.com/wp-content/uploads/2023/10/1292036-mumbai-local-train-1.webp)
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં ખાર-ગોરેગાંવની વચ્ચે નવી લાઈનનું કામકાજ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું, પરિણામે વધુ લોકલ ટ્રેનની સર્વિસ દોડાવવાની સંભાવના વધી ગઈ છે. નોન-એસી લોકલ ટ્રેનના બદલે એસી લોકલ ટ્રેનની સર્વિસ વધારવામાં આવ્યા પછી હવે સ્લો કોરિડોરમાં પણ વધુ ટ્રેન દોડાવવાની વિચારણા છે, જેમાં અંધેરીથી ચર્ચગેટની વચ્ચે ટ્રેનની સર્વિસ વધારવાની યોજના હાથ ધરવામાં આવી છે, જ્યારે તેના અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે. જો બધુ બરાબર રહ્યું તો સ્લો કોરિડોરમાં પંદર કોચની સર્વિસ વધારવામાં આવશે, જેથી પ્રવાસીઓને ટ્રેનોમાં ગીચતાનો સામનો કરવો પડશે નહીં, એમ અધિકારીએ જણાવ્યું હતું.
હાલના તબક્કે 12 કોચની સર્વિસ તો દોડાવવામાં આવી રહી છે, પરંતુ પંદર કોચની સર્વિસ વધારવામાં આવે તો પેસેન્જર કેપેસિટીમાં પચીસ ટકાનો વધારો થશે. હાલમાં પંદર કોચની 14 રેક છે, જ્યારે રોજ ચર્ચગેટથી વિરાર કોરિડોરમાં 199 સર્વિસ દોડાવાય છે.
નવેમ્બર મહિનાથી અંધેરી ચર્ચગેટમાં પંદર કોચની ટ્રેન દોડાવવાનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જ્યારે સર્વેમાં ખાસ કરીને સ્ટેશનના પ્લેટફોર્મની લંબાઈની સાથે સિગ્નલમાં ફેરફાર કરવાની સાથે કેટલા સમયમાં કામકાજ પૂરું કરવામાં આવશે તેની જાણકારી પ્રાપ્ત કરવામાં આવી છે.
સ્લો લાઈનમાં પંદર કોચની લોકલ ટ્રેન દોડાવવાનું કામકાજ પણ તબક્કાવાર હાથ ધરવામાં આવશે. આ કામકાજ માટે તબક્કાવાર કામગીરી કરવામાંઆવશે, જેમાં બાંદ્રાથી ચર્ચગેટ સુધીના સેક્શનમાં પીકઅવર્સમાં પ્રત્યેક સર્વિસમાં પંદરસો જેટલા પ્રવાસીઓને રાહત થઈ શકે છે. બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) ખાતે ઘણી બધી સરકારી અને અર્ધ સરકારી કચેરીઓને શિફ્ટ કરવામાં આવી હતી, તેથી પ્રવાસીઓની અવરજવર વધી છે. બાંદ્રાથી ચર્ચગેટના કોરિડોરમાં પણ જો સ્લો લાઈનમાં પંદર કોચની ટ્રેનની સર્વિસને એક્સટેન્ડ કરવામાં આવશે તો પણ પ્રવાસીઓને ફાયદો થઈ શકે છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.