વિધાનસભા અને લોકસભા માટે ભાજપનું કટ ટૂ કટ પ્લાનિંગ: મહાવિજય 2024 માટે 288 મતદારસંઘમાં વોર રુમ તૈયાર
![BJP Cut to Cut Planning for Assembly and Lok Sabha: War Room Ready in 288 Constituents for Mahavijay 2024](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/Mumbai-Samachar-by-Jignesh-2023-11-04T173335.019-1.jpg)
મુંબઇ: મહાવિજય 2024 માટે ભાજપે કમર કસી મહારાષ્ટ્ર માટે મેગા પ્લાન તૈયાર કર્યો છે. આવનારી લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે ભાજપ તરફથી આખા રાજ્યમાં વોર રુમ શરુ કરવામાં આવનાર છે. રાજ્યના 288 વિધાનસભા મતદારસંઘ અને 48 લોકસભા મતદારસંઘમાં વોર રુમ ઊભા કરી તેના માધ્મમથી દરેક ઉમેદવાર પર નજર રાખવામાં આવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર મહાવિજય 2024 માટે ભાજપે મેગા પ્લાન તૈયાર કર્યો છે. તે માટે આખા રાજ્યમાં વોર રુમ તૈયાર કરવામાં આવનાર છે. ભાજપ રાજ્યના 288 વિધાનસભા મતદારસંઘ અને 48 લોકસભા મતદારસંઘમાં પોતાના વોરરુમ ઊભા કરશે. વોરરુમના માધ્યમથી દરેક મતદારસંઘ પર ધ્યાન આપવામાં આવશે. તથા તે માધ્યમથી મોદી સરકાર અને રાજ્ય સરકારના કામ લોકો સુધી પહોંચાડવામાં આવશે.
વોરરુમના માધ્યમથી દરેક મતદારસંઘ અને ઉમેદવાર પર ભાજપ ધ્યાન આપશે. આ માધ્યમથી મતદારસંઘની સમસ્યા તથા અન્ય વિષયોની જાણકારી મેળવવામાં આવશે. ભાજપની તૈયારી અંગે જાણકારી આપતા વિધાનસભ્ય શ્રીકાંત ભારતીયએ કહ્યુ કે, ભાજપ 365 દિવસ ચૂંટણીની તૈયારી કરનારો પક્ષ છે. 2014થી ચૂંટણી વ્યવસ્થાપનમાં એક વિશેષતા ભાજપે તૈયાર કરી છે. તેથી 288 વિધાનસભા મતદારસંઘમાં 288 વોરરુમ તૈયાર કરવામાં આવનાર છે. આ તૈયારી મહાયુતી માટેની છે. એકાદ મતદારસંઘ મહાયુતીના શિવસેના મિત્રપક્ષ પાસે હશે, ત્યારે એ બેઠક જીતવાની જવાબદારી પણ ભાજપની જ છે. તેથી જ અમે આ વોરરુમ શરુ કરી રહ્યાં છે.
આ વોરરુમમાં ત્રણ પ્રકારની જવાબદારી છે. જેમાં ટેકનોલોજીનો વપરાશ, વધુ ગતીશીલતાથી ચૂંટણી વ્યવસ્થાપન કરવું અને ત્રીજું કામ એટલે કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ ભાજપનો છે.
આગામી 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને ભાજપનું મિશન 45 ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48માંથી 45 બેઠકો જીતવાનો ભાજપનો ટાર્ગેટ છે. બુલઢાણા, ચંદ્રપૂર, હિંગોલી, ઔરંગાબાદ, પાલઘર, કલ્યાણ, દક્ષિણ મધ્ય મુંબઇ, દક્ષિણ મુંબઇ, રાયગઢ, બારામતી, શિરુર, શિર્ડી, સાતારા, રત્નાગિરી, સિંધુદુર્ગ, કોલ્હાપૂર અને હાતકણંગલે આ મતદારસંઘ પર ભાજપે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બારામતી, માવળ, સોલાપૂર, કોલ્હાપૂર, સાતારા આ મતદારસંઘ પર ભાજપ પોતાની તાકત લગાવશે. આમાંથી 18 મતદારસંઘો પર ભાજપનું વિશેષ ઘ્યાન હશે.