નેશનલ

વિધાનસભ્યોની અયોગ્યતાઃ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના સ્પીકરને આપ્યો આ આદેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને શિંદે જૂથના શિવસેના વિધાન સભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજીઓ પર આગામી વર્ષે 31 ડિસેમ્બર સુધીમાં અને NCPના વિધાન સભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજીઓ પર 31 જાન્યુઆરી સુધીમાં નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.

મહારાષ્ટ્રમાં શિંદે જૂથ અને અજિત પવાર જૂથના વિધાન સભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજીની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, સ્પીકર વતી હાજર રહેલા સોલિસિટર જનરલે કહ્યું હતું કે વિધાનસભા સત્ર, દિવાળી અને ક્રિસમસની રજાઓને કારણે થોડો વિલંબ થશે. તેમ છતાં, તે 31 જાન્યુઆરી સુધીમાં અયોગ્યતા સંબંધિત અરજીઓનું સમાધાન કરવાનો પ્રયાસ કરશે. પહેલા ચીફ જસ્ટિસે કહ્યું હતું કે 31 ડિસેમ્બર સુધીમાં જ કાર્યવાહી પૂરી કરવી જોઈએ. આને લાંબા સમય સુધી ટાળી શકાય નહીં.


ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે શિવસેનાના વિધાન સભ્યો અને એનસીપીના વિધાન સભ્યો સામેની ગેરલાયકાતની કાર્યવાહીમાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર દ્વારા વહેલામાં વહેલી તકે નિર્ણય લેવાની માંગ કરતી અરજીઓની સુનાવણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને એકનાથ શિંદેને સમર્થન આપતા વિધાન સભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેની અરજીઓનો નિકાલ 31 ડિસેમ્બરે અથવા તે પહેલાં કરવાનો અને NCPના વિધાન સભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજીઓ પર 31 જાન્યુઆરી સુધીમાં નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.


નોંધનીય છે કે મે મહિનામાં બંધારણીય બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે શિંદે સહિત શિવસેનાના વિધાન સભ્યો સામે “અયોગ્યતાની અરજીઓ પર યોગ્ય સમયે નિર્ણય લેવો જોઈએ”. શિવસેના-યુબીટી નેતા સુનીલ પ્રભુએ 4 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે સ્પીકર નાર્વેકર એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન તરીકે રાખવા અંગેની ગેરલાયકાતની અરજીઓ પર નિર્ણય લેવામાં ગેરકાયદેસર રીતે વિલંબ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button