હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ વેપારીને દુકાન ખોલવા અંગે હાઈ કોર્ટે શું આપ્યો ચુકાદો?

અમદાવાદ/વડોદરાઃ ગુજરાત હાઈ કોર્ટે હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ વેપારીને દુકાન ખોલવા અંગે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની બંધારણીય જવાબદારી રાજ્ય સરકારની છે. વડોદરાના હિન્દુ બહુમતિવાળા વિસ્તારમાં એક મુસ્લિમ વેપારીને પોતાની દુકાનથી વ્યવસાય શરૂ કરવામાં આવી રહેલા અવરોધોને તાત્કાલિક દૂર કરવા કોર્ટે વહીવટીતંત્રને નિર્દેશ આપ્યો હતો.
શું છે સમગ્ર મામલો
ન્યાયાધીશ એચડી સુથારની સિંગલ બેન્ચ દ્વારા આપવામાં આવેલ આ નિર્ણય અરજદાર ઓનાલી ધોળકાવાલાને મોટી રાહત આપી હતી. મુસ્લિમ વેપારીઓ આ વિસ્તારમાં વ્યવસાય ન કરે તે માટે કેટલાક સ્થાનિક લોકો તેમને દુકાન ખોલતા અટકાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત હાઈ કોર્ટે એક અરજદારને કેમ ફટકાર્યો લાખો રુપિયાનો દંડ, જાણો શું છે મામલો
ધોળકાવાલાએ 2016માં ચાંપાનેર ગેટ નજીક બે હિન્દુ ભાઈઓ પાસેથી કાયદેસર રીતે દુકાન ખરીદી હતી, પરંતુ આ વિસ્તાર ગુજરાત ડિસ્ટબ્ડ એરિયાઝ એક્ટ, 1991 હેઠળ આવે છે. આ વિસ્તારમાં કોઈપણ મિલકત ખરીદવા માટે કલેક્ટરની પૂર્વ પરવાનગી મેળવવી ફરજિયાત છે. તેમણે 2020માં હાઇ કોર્ટની મદદથી વેચાણ દસ્તાવેજ રજીસ્ટર કરાવ્યો હતો. આમ છતાં, વિસ્તારના કેટલાક લોકોએ મુસ્લિમને મિલકતના વેચાણનો વિરોધ કર્યો અને તેને રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી. તેમણે દાવો કર્યો હતો કે મુસ્લિમોને મિલકત આપવાથી વિસ્તારમાં વસ્તી સંતુલન ખલેલ પહોંચશે અને સાંપ્રદાયિક ધ્રુવીકરણ થઈ શકે છે.
જોકે, ફેબ્રુઆરી 2023માં, હાઇ કોર્ટે આ વાંધાઓને ફગાવી દીધા અને બંને અરજદારો પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે કહ્યું કે, તેઓ કાયદેસર માલિકને મિલકતના અધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ પછી પણ સ્થાનિક રહીશોએ ધોળકાવાલાને દુકાન ખોલવા દીધી ન હતી અને ગેટ પર કાટમાળ ફેંકીને દુકાનમાં અવરોધ ઉભો કર્યો હતો. આના પર ધોળકાવાલાને ફરી એકવાર હાઈ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં તેમણે દુકાન ખોલીને વ્યવસાય શરૂ કરી શકે તે માટે પોલીસ સુરક્ષાની માંગણી કરી હતી.
આ પણ વાંચો: … તો ગોધરા કાંડ ન થયો હોત, ગુજરાત હાઈ કોર્ટે જીઆરપીના 9 જવાનોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય યોગ્ય ગણાવ્યો
આ અંગે કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈ વ્યક્તિને તેની કાયદેસર રીતે ખરીદેલી મિલકતનો ઉપયોગ કરતા અટકાવવા એ બંધારણ અને કાયદાનું ઉલ્લંઘન છે. દરેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરવી અને તેમને તેમના કાયદેસર અધિકારો પૂરા પાડવા રાજ્ય સરકારની જવાબદારી છે.