
વિસાવદર/ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની વિસાવદ અને કડી પેટા ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા હતા. વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીએ જાળવી રાખી હતી. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ભાજપના કિરીટ પટેલને 17554 મતથી હરાવ્યા હતા. આપના ગોપાલ ઈટાલિયાને 75942 મત મળ્યા હતા, જ્યારે ભાજપના કિરીટ પટેલને 58288 મત મળ્યા હતા. ત્રીજા ક્રમે રહેતા કોંગ્રેસના નીતિન રાણપરીયાને 5501 મત મળ્યા હતા. વિસાવદરમાં શંકરસિંહ વાઘેલાની પાર્ટીના ઉમેદવાર આઠમા ક્રમે રહ્યા હતા. પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કિશોરભાઈ કાનકડને 479 મત મળ્યા હતા. જ્યારે નોટાને પણ તેનાથી વધારે મત મળ્યા હતા. વિસાવદરમાં 1716 લોકોએ નોટાને મત આપ્યો હતો.
ઈટાલિયાએ જીત બાદ શું કહ્યું
ગોપાલ ઈટાલિયાએ જીત બાદ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આ જીતથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા છે. આ લડાઈ એક તરફી સત્તા, પૈસા, દારૂ, ગુંડા અને અહંકાર સામે હતી. બીજી તરફ જનતાની આશા અને વિશ્વાસ હતો. એક તરફ સત્તાનું અભિમાન હતું અને બીજી તરફ હું ગામડે ગામેડ ગયો જ્યાં દીકરીઓના કુમળા હાથે લીધેલા દુઃખણાનો, મારી માતાઓએ આપેલા આશીર્વાદનો, મારા ખેડૂ માવતરોએ આપેલા આશીર્વાદનો વિજય થયો છે.
આ ઉપરાંત ઈટાલિયાએ કહ્યું કે, મેં કારખાને કારખાને જઇને આશીર્વાદ લીધા હતા. હીરાઘસુ લોઢાની સાથે હીરા ઘસતાં ઘસતાં પોતાની જાત ઘસે છે, ગુજરાતને ઉપર લાવવા માટે રત્નકલાકારોના આત્મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે. આ પંથકના અનેક ગરીબોએ મને પ્રેમ આપ્યો, આશીર્વાદ આપ્યા, આશ્વાસન આપ્યું, મત આપ્યા તે બધાનો વિજય થયો છે. હું આ જીત ગુજરાત અને વિસાવદરની જનતામાં અર્પિત કરીને વિનમ્ર ભાવે ચૂંટણીના સર્ટિફિકેટને સ્વીકારું છું.
ગોપાલ ઇટાલિયા ગપગોળા પ્રજાને સમજાવવામાં સફળ રહ્યાઃ ભાજપ
ઈટાલિયાની જીત પર ભાજપના મુખ્ય મીડિયા કન્વીનર ડો. યજ્ઞેશ દવેએ કહ્યું, વિસાવદરની અંદર અમે અમારી વાત લોકોને સમજાવવામાં ઉણા ઉતર્યા છીએ. ગોપાલ ઇટાલિયા ગપગોળા પ્રજાને સમજાવવામાં સફળ રહ્યા છે, પ્રજાને ખબર પડશે ત્યારે ઘણું મોડું થઇ ગયું હશે. 2027ની વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે આજ વિસાવદરની સીટ ભાજપ પ્રચંડ બહુમતિથી જીતશે. સ્થાનિક પ્રજાના ઝોક ઉપર બધો આધાર હોય છે. ભાજપ જ્યારે ગુજરાતમાં 156 સીટ જીતી હતી ત્યારે પણ વિસાવદર સીટ ભાજપને મળી ન હતી. આમ આદમીના ઉમેદવારે દરેક બાબતમાં અપપ્રચાર કર્યો છે.
જે લોકો ખેડૂત નથી તેઓ પણ પોતાની જાતને ખેડૂત ગણાવે છે, આવા વ્યક્તિઓ ખોટા ગપગોળા ફેલાવે છે. કથાકારો, પંડિતો, બ્રાહ્મણો અને મહિલાઓ માટે અનેક અપશબ્દો બોલ્યા છે. ભૃતકાળમાં કાર્યાલય પર હુમલામાં પ્રવેશબંધી પણ કરવામાં આવી હતી. તેમ છતા તેઓ ભોળી પ્રજામાં ગપગોળા ફેલવાવામાં સફળ રહ્યા છે અને ભાજપ પોતાની વાત પ્રજાને સમજાવી શકી નથી.
આપણ વંચો શક્તિસિંહ ગોહિલનું રાજીનામુંઃ પ્રદેશ કૉંગ્રેસનું અધ્યક્ષપદ છોડ્યું