વિસાવદરમાં લંબાયો ‘ભાજપનો વનવાસ’, ‘આપ’ની જીત અને ભાજપની હારના આ રહ્યા કારણો…
ભાજપને ગુજરાત વિધાનસભામાં સૌથી મોટી જીત અપાવનારા પ્રદેશ પ્રમુખ પાટીલને રહી જશે વસવસો

ગાંધીનગર/વિસાવદર/કડીઃ ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા સીટની પેટા ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા હતા. સૌની નજર વિસાવદર બેઠક પર હતી. આ બેઠક ભાજપ 2012થી જીતી શક્યું નથી. આજે જાહેર થયેલા પરિણામમાં પણ અહીં ભાજપને જાકારો મળ્યો હતો. લોકોએ આમ આદમી પાર્ટીના ઉમેદવાદ ગોપાલ ઈટાલિયા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાને 75,942 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 58,388 મત મળ્યા હતા. ગોપાલ ઈટાલિયાનો 17,554 મતથી વિજય થયો હતો.
ગોપાલ ઈટાલિયાની જીતના કારણો
ઉમેદવારની વહેલી જાહેરાતઃ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પણ પંજાબની જેમ ઉમેદવારની વહેલી જાહેરાત કરી હતી. દિલ્હી ચૂંટણીમાં હાર બાદ વિસાવદર સીટ પર ચૂંટણી પંચે જાહેરાત પહેલા જ ઉમેદવાર જાહેર કર્યા હતા. ભાજપે ઉમેદવારની લગભગ ત્રણ મહિના પહેલા જ જાહેરાત કરીને પ્રચાર શરૂ કરી દીધો હતો.
વિધાનસભામાં બે થી ત્રણ વખત ફરીને લોકોમાં ઓળખ
મોટા ચહેરા પર દાવ લાગ્યા હતા. અલબત્ત, ગુજરાતની આ સીટ બચાવવા આમ આદમી પાર્ટીએ તેના મોટા ચેહરાને મેદાનમાં ઉતાર્યો હતો. ગોપાલ ઈટાલિયા સ્થાનિક ઉમેદવાર નહોતો છતાં પણ સમગ્ર વિધાનસભામાં બે થી ત્રણ વખત ફરીને લોકોમાં ઓળખ બનાવી હતી. તેણે લોકો સાથે હળીભળી ગયો હતો. ખેડૂતો સાથે ખાસ ઘેરાબો કેળવ્યો હતો અને તેમની સમસ્યા સાંભળી હતી.
કેજરીવાલની હીરો ચેલેન્જે બનાવ્યો માહોલ
2022ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદરના લોકોએ આમ આદમી પાર્ટી પર ભરોસો કર્યો હતો. ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા. પરંતુ તેમણે પક્ષ પલટો કર્યો હતો. ગોપાલ ઈટાલિયાએ ઉમેદવારી નોંધાવી તે સમયે કેજરીવાલ હાજર રહ્યા હતા. તેમણે રોડ શો કર્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે, જો ભાજપ ગોપાલ ઈટાલિયાને ખરીદી બતાવે તો હું રાજનીતિ છોડી દઈશ. કેજરીવાલની આ ચેલેન્જે લોકો અને પક્ષના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ ભર્યો હતો. કેજરીવાલે વિસાવદરમાં કહ્યું કે, અમે અમારા સૌથી મોટા હીરોને ઉતાર્યો છે.
લોકોનો અવાજ બનશે એ સાબિત કરવામાં સફળ
ભાજપને તેના મુદ્દા પર ઘેરીઃ વિસાવદરમાં જ્યારે આપ ગત વિધાનસભા ચૂંટણી જીત્યું ત્યારે ઈટાલિયા પ્રદેશ પ્રમુખ હતા. તેઓ તે ચૂંટણીમાં સુરતની કતારગામ બેઠક પરથી લડ્યા હતા અને હાર્યા હતા. આ વખતે તેણે વિસાવદર પર પસંદગી ઉતારી. ચૂંટણી મેદાનમાં ઉતરતા પહેલાં જોરદાર હોમવર્ક કર્યુ અને ભાજપને ઘેરી શકાય તે તમામ મુદ્દા ઉઠાવ્યા. ગોપાલ ઈટાલિયા તેઓ લોકોનો અવાજ બનશે તે સાબિત કરવામાં સફળ રહ્યા હતા.

ઈસુદાન ગઢવીએ પણ કરી મહેનત
ઈસુદાન ગઢવીએ વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાને ઉતારતા પહેલા સર્વે કરાવીને કાર્યકર્તાઓનો મત લીધો હતો. જે બાદ તેમની ઈચ્છા અનુસાર નિર્ણય લીધો હતો. ઈસુદાન ગઢવીએ અંત સુધી 11 નેતાની કોર ટીમ બનાવીને દરેક બૂથ પર ફોક્સ કર્યું. જેનું પરિણામ તેમને મતદાનમાં જોવા મળ્યું હતું.
ભાજપની હારના કારણો
જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર લેઉવા પટેલોનો દબદબો છે. વિસાવદર વિધાનસભા બેઠક પર પાટીદારો મોટા ભાગે પાટીદાર ઉમેદવારને જીતાડે છે. ભાજપે આ સીટ જીતવા નેતાઓની ફોજ ઉતારી હતી. જોકે તેમ છતાં કારમી હાર થઈ હતી. ગુજરાત વિધાનસભામાં ભાજપને સૌથી વધુ સીટ જીતાડનારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પણ વિસાવદર સીટ નહીં જીતી શકવાનો વસવસો રહેશે.

વિસાવદરનો સત્તા વિરોધી મિજાજઃ 2007 બાદ વિસાવદર બેઠક પર સરકાર વિરોધી પક્ષના ઉમેદવારોને સ્થાનિક મતદારો મહોર મારી જીતાડે છે. આ વખતે પણ આમ જ થયું હતું.
સંગઠનનું જોર પણ આંતરિક વિવાદ નડ્યોઃ ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક જીતવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. સંગઠન સંપૂર્ણ સક્રિય થયું હતું પરંતુ આંતરિક વિવાદ નડ્યો હતો. જવાહર ચાવડાએ ચૂંટણીમાં રસ નહોતો લીધો. જેના કારણે ભાજપને મોટું નુકસાન થયું હતું. આ ઉપરાંત હર્ષદ રિબડીયા અને ભૂપત ભાયાણીને ટિકિટ ન મળતાં તેઓ પણ સમસમી ગયા હતા પરંતુ જાહેરમાં કંઈ બોલી શકે તેમ નહોતા, તેથી તેમણે અંદરખાને ભાજપ સામે વિરોધ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
રસ્તાની ખખડધજ હાલત અને વાત પેરિસનીઃ વિસાવદર પેટા ચૂંટણીમાં રોડ રસ્તા પણ મુખ્ય મુદ્દો બન્યા હતા. જે રોડ રસ્તા વર્ષોથી નહોતા બનતા તે ગોપાલ ઈટાલિયાના પ્રચાર અને સોશિયલ મીડિયા લાઈવ બાદ રાતોરાત બની ગયા હતા. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે અહીં રોડ રસ્તા પેરિસ જેવા બનાવવાની વાત કરી હતી, જોકે સોશિયલ મીડિયા પર લોકોએ તેમના આ નિવેદનને લઈ ટ્રોલ કર્યા હતા.
આપણ વાંચો : ભાજપના સૌરાષ્ટ્રના ગઢનો કાંગરો ખર્યોઃ ગોપાલ ઈટાલિયાની જીતથી અનેક નેતાઓની શાખ લાગી દાવ પર